Sunday, December 30, 2018

પત્રકારત્વ 'પેટિયું' રળવાનું માધ્યમ માત્ર જ નથી...


નર્મદ અને મેઘાણી ય પત્રકાર હતા, ગુજરાતની એ પરંપરા આમ તો થોડી ઉજળી કહી શકાય એવી. હર એક  કામમાં ઉતાર -ચડાવ આવવા સહજ છે એમ જ પત્રકારત્વમાં પણ થયું. પણ, સૌ 'નામુ' નથી નંખાયી ગયું એનો અહેસાસ વચ્ચે વચ્ચે કેટલાક પત્રકાર મિત્રો કરાવતા રહે છે. અહીં નામોલ્લેખ એટલા વાસ્તે ટાળું છું કે બધા જ "પત્રકારો"ને ઓળખાવાનો હું દાવો ના કરી શકું અને કોઈ સાચો 'પત્રકાર' રહી જાય એ ઇચ્છવા યોગ્ય નથી.

ઇલેક્ટ્રોનિક મીડિયાના ગ્લેમરમાં ઘણીવાર 'પત્રકાર' ખોવાયાનો ભાસ થતો એમાં હમણાં હમણાં વેબ-પોર્ટલના માધ્યમથી જે વાંચવા મળે છે એ જાણી સવાલ થાય કે જો "વગદારો"ના જ હાથમાં પ્રસાર માધ્યમો રહ્યા હોત તો આ બધું  સામે આવી શકત ખરું? કોઈ પ્રકાશક છાપવા તૈયાર થાત ખરો?

નજર સામેની સ્થિતિ, પડદા પાછળની હકીકતો અને પરિણામો/દુષ્પરિણામોની જાણકારી છતાં કશું ના કરી શકવાની પીડા, બાળપણના સંઘર્ષો પછી વ્યવસાયિક સંઘર્ષો, ધીરે ધીરે મરતી સંવેદનાઓ, આ બધું પીડાયક હોય છે. જાણવા છતાં બોલી પણ ના શકવાની મજબુરીની વ્યથા કોને કહે? તો સામે પક્ષે લોકો/સમાજની પત્રકાર પાસેની અપેક્ષાઓનો ભાર!

છતા, અપેક્ષાઓના ભાર અને કંઈ ના કરી શકવાની મજબૂરી વચ્ચે પણ માર્ગ કાઢવાની મથામણ જ કોઈ સુખદ સમાધાન તરફ નહીં તો લોક જાગૃતિ તો ચોક્કસ લાવે છે. આઝાદી આવતા ઘણા વર્ષો લાગ્યા હતા, ક્રાંતિની વાતો ઇન્સ્ટન્ટ હોય છે, ક્રાંતિ નહીં. પરિવર્તન સમય માંગે છે તો સામે પીડા આપે છે.

પંડે પીડા વેઠીને પણ 'પત્રકાર' બની રહેવા બદલ, પત્રકારત્વની મશાલ જલતી રાખવા બદલ સલામ દોસ્તો...

- સાગર રબારી

Thursday, December 27, 2018

ખેડૂતની દેણા માફીમાંએ અદેખાઈ...!

ચારેબાજુએથી ભીંસાયેલા ખેડૂતો પર ચૂંટણીના સમયે રાજકીય પક્ષો મહેરબાન થાય, સઘળા મતદારોની જેમ સૌથી મોટા મતદાતા વર્ગ એવા ખેડૂતની સૌથી મુંઝવતી સમસ્યા કહો કે લાચારી, લીધેલા કરજ ચૂકવવાનો વેંત ના હોવો એને ઉજાગર કરે...

વચનોની લાલચે લૂંટાતો સમાજ ખેડૂતને કોઈ થોડી રાહત આપે  એય નથી જોઈ શકતો, 'જેનું અન્ન ખાય એનું જ ખોદે' કહેવત જેવો ઘાટ કરી મૂકે.

ગુજરાતનો ખેડૂત છેલ્લા અહેવાલ પ્રમાણે, 82608 કરોડ (47318 કરોડનું પાક ધિરાણ અને 35290 કરોડના મુદ્દતી ધિરાણ)ના દેવામાં ફસાયેલો છે. છેલ્લા 4 વર્ષથી વરસાદના ઠેકાણા નથી, 22 વર્ષથી સત્તામાં બેઠેલો પક્ષ હજી ગુજરાતના પાક વિસ્તારના 99 લાખ હેક્ટરના 50% સુધીય સિંચાઈ પહોંચાડી શક્યો નથી, નર્મદાની નહેરો બાંધી શક્યો નથી, કલ્પસરને અભેરાઈ ચડાવી બેઠો છે, શિક્ષણ અને આરોગ્યનું ખાનગીકરણ કરી બેઠો છે એની મોકાણ માંડવાને બદલે ખેડૂતોને આપશો તો  "અર્થતંત્ર ડૂબી જાય" ની કાગારોળ કરી મેલે છે - જાણે એના બાપનાં સાતેય જહાજ મધદરિયે ડૂબી ગયા હોય એમ...

અને કહેવાતા અર્થશાસ્ત્રીઓ, મૂળે તો અનર્થશાસ્ત્રીઓ કે પછી મૂડીપતિઓ અને સત્તાધીશોની કૃપા ઝંખતા લાલચુઓ, સાગમટે અર્થતંત્રના મરશિયા ગાવા બેસી જશે. ગુજરાતના 48 લાખથી વધારે ખેડૂતોના 82,608 કરોડ માફ થાય કે આખા દેશના 80-85 કરોડ ખેડૂતોના 4 લાખ કરોડ માફ થાય તો એમની તો જાણે સાતેય પેઢી પાયમાલ થઇ ગઈ હોય એટલા મરશિયા ગાવા માંડે..!
એમની આવનારી પેઠીઓ ઉદ્યોગપતિઓને અપાતી દેવામાફી, રાહતો કે ગુજરાત સરકાર વીજળી કમ્પનીઓને વગર માંગે હજારો કરોડની રાહત આપે ત્યારે તો બરબાદ થઇ નથી જતી. ત્યારે તો જાણે એમને ઘેર ઘરડે ઘડપણ પારણું બંધાણું હોય એમ અર્થતંત્રની તેજીનાં લગનગીતો ગાવા માંડે છે. એમને વાંધો જ ખેડૂત/ગરીબ/જરૂરિયાતમંદ સામે છે. અમીરોને આપો તો એમને બટકું મળે, ગરીબ ખુદ ખાય કે એમને બટકું ધરે?

કેટલાક તો ઘરની લોન માફ કરાવવા, દુકાનની લોન માફ કરાવવાના ત્રાગા કરવા માંડે.

અરે અક્ક્લમઠાંઓ, ઈશ્વરે તમને બુદ્ધિ ના આપી એમાં ખેડૂત શું કરે? થોડું તો વિચારો...

  • વરસાદ પર ખેડૂતનો કાબુ છે?
  • બિયારણ, ખાતર, દવા, મજૂરીના ભાવ ખેડૂતના કાબુમાં છે?
  • વાતાવરણ - કુદરત ખેડૂતના કાબુમાં છે?
  • ઉત્પાદનના ભાવ નક્કી કરવા ખેડૂતના હાથમાં છે?
  • ખેડૂતને સસ્તી જમીન સરકાર આપે છે?


અને તમે જેના બટકે કુદો છો એમના તો..
  • વરસાદ પ્રમાણે એમનું ઉત્પાદન વધ-ઘટ થતું નથી,
  • એમની વપરાશની વસ્તુઓના વધતા ભાવ/ખર્ચ પ્રમાણે એ પોતે ભાવ નક્કી કરે છે,
  • એના ઠેકાણા સુધી સરકાર વીજળી-રોડ-પાણી 24 કલાકમાં પહોંચાડે છે,
  • એને ટેક્ષમાં રાહત આપે છે,
  • એને સરળતાથી લોન આપે છે,
  • એને નિકાસ પર સીધી સબસીડી આપે છે,
  • એને મફતના ભાવે, સસ્તા જમીન-પાણી સરકાર આપે છે,
  • અને સૌથી મોટું - ઉઠમણું કરવાની સગવડેય આપે છે - બેન્ક માંડવાળ કરે છે.


દર વર્ષે 80-85 કરોડ ખેડૂતો કરતા વધારે તો આ થોડાક હજાર ઉદ્યોગપતિઓ બજેટમાંથી લઇ જાય છે, પણ વાંચે તો ખબર પડેને? અકલેય જોઈએને ભાઈ?
એમને તો માવતર ખાનગી દવાખાને લૂંટાય ને છોકરાં  ખાનગી નિશાળે કુટાય તો વાંધો નહીં, ફિક્સ પગારે વૈતરું કરે તોય વાંધો નહીં. બસ, ખેડૂતનું દેવું માફ ના થવું જોઈએ કેમ અકક્લમઠાંઓ? 
- સાગર રબારી
પ્રમુખ, ગુજરાત ખેડૂત એકતા મંચ.

Tuesday, October 30, 2018

એમ તે કંઈ જમીન મળતી હશે ?

હા, રાજકીય નેતાઓ થોડા છેટા રેજો, અમે બિનરાજકીય - ખેડૂત છીએ.

દેશમાં ક્યાંય નહોતો એવો સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન એક્ટ ગુજરાત સરકારે ઘડ્યો. એમાં ખેડૂતોને પૂછ્યા વગર, વળતર આપ્યા વગર 20% થી લઈને 50% જમીન સીધી કપાત તરીકે લઇ લેવાનો અધિકાર ટાઉન પ્લાનિંગ અધિકારીને આપી દીધો. જમીન પેઢીઓથી વાવનારા ખેડૂતની અને આપી દેવાની ઉદ્યોગપતિઓને...! આવું તો ગુજરાતની સરકાર જ કરી શકે. સરકારનું  ચાલે તો એને તો બધું પડાવીને એના 5-10 ને પધરાવી દેવું છે પણ એમ કંઈ ખેડૂતો છોડે થોડા? સરકારે તો આવા 14 સર કરવા ધાર્યા હતા પણ ખેડૂતોના વિરોધને કારણે એક  પછી એક રદ થતા ગયા. હવે આવીને ડોળો ધોલેરા પર અટક્યો છે.

આ વિસ્તારના 22 ગામોની 92000 હેકટર જમીન સરકારને પડાવી લેવી છે, 50 % કપાતમાં અને ખેડૂતોને દૂર દૂર ફાઇનલ પ્લોટ આપીને ખેતીમાંથી નવરા કરી કાઢી મુકવા છે. ગ્રામપંચાયતો, ગ્રામસભાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારોય પડાવી લેવા છે.

સરકાર પડાવવા આવી તો ખેડૂતોએ લડત ચાલુ કરી, નર્મદાનું પાણી માગ્યું... વાયદા સાકાર કરવા દબાણ કર્યું. હાઇકોર્ટમાં ગયા અને મનાઈ હુકમ મળ્યો.. આમ, સરકારના બદઇરાદા ઉપર ખેડૂતોએ અંકુશ મુક્યો. 2015થી મનાઈ હુકમ ચાલુ છે છતાં હવે સરકાર પડાવી લેવા રઘવાઈ થઇ છે. એને જગપ્રસિદ્ધ ભાલીયા ઘઉં, જીરું અને કપાસ પકવતી જમીન "ખારાપાટ"ને નામે પડાવી લેવી છે. ક્યાંક ખારોપાટ હોય તો વારે વારે ઇઝરાઈલની વાર્તાઓ કરતા તમે ઇઝરાયેલની પદ્ધતિએ ખારપાટની હરિયાળો કેમ નથી કરતા? બસ, પડાવી જ લેવું છે ને મામકાઓને પધરાવી જ દેવું છે?

વાઇબ્રન્ટ નજીક આવતા તાયફાંપ્રેમી સરકાર અધીરી થઇ છે. ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપવા છતાં સરકારે નોટિસો આપવાનો પ્રયત્ન કરી જોયો, જમીન માપણીનો નિષ્ફળ પ્રયોગ કરી જોયો, બધામાં નિષ્ફળ ગયા. હવે 'સર' (સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન) ના અધિકારીઓ ગામે ગામે ફરીને ખેડૂતોને સમજાવવાનો (સાચું કહીએ તો પરોક્ષ રીતે ધમકાવવાનો, એમ કહીને કે સરકાર જમીન તો લઇ જ લેશે...) પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન શરૂ થયું ત્યારે બે માંગણીઓ હતી, (1) નર્મદા આપો, અને (2) સર હટાવો.

ખેડૂતોની અથાગ મહેનતથી નર્મદાના પાણીની લાઈનો તો નખાઈ, પાણી આવશે, 50 વર્ષથી જે વાયદા થયા હતા તે હવે ખેડૂતોની મહેનત અને આંદોલનથી સાકાર થતા દેખાય છે. અનેકવાર ડીકમાન્ડ કરવા છતાં ખેડૂતોએ મહેનત કરીને પાણી મેળવ્યું છે.

હવે જયારે ભાલમાં પાણી આવ્યું ત્યારે સરકાર 50 % જમીન કપાત લઈને ઉધોગપતિઓને પધરાવવાનું કાવતરું 'વિકાસ'ને નામે કરી રહી છે. આ ગામોના ખેડૂતોને સરકારના વિકાસમાં એમનો વિનાશ દેખાય છે એટલે તો વિરોધ કરે છે. હાઇકોર્ટમાં જઈને મનાઈહુકમ મેળવી લાવ્યા છે. તોય સરકાર જાગતી કે માનતી નથી.

સરકારની જોહુકમી સામે ખેડૂતોને જાગ્રત કરવા ખેડૂત આગેવાન શ્રી સાગર રબારી તા. 9-10-11 નવેમ્બરના 3 દિવસ આ ગામો પૈકી કેટલાક ગામોનો પગપાળા પ્રવાસ કરશે, ખેડૂતોને મળશે, એમની વાત સાંભળશે અને વાઈબ્રન્ટના તાયફા પહેલા સરકાર સુધી પહોંચાડવાનો બિનરાજકીય પ્રયત્ન કરશે. આમ તબક્કાવાર બધા ગામોમાં જાગૃતિ અને નવા ઉત્સાહનો સંચાર કરાશે.

આ ઉપરાંત વાઈબ્રન્ટથી ગુજરાતના ગામડાના લોકો શું શું ગુમાવે છે અને વિકાસના નામે સરકાર કેવી રીતે લોકોની આજીવિકાના સંશાધનો- પાણી અને જમીન - એમના વ્હાલા ઉદ્યોગપતિઓને પધરાવે છે એની સમજણ લોકો સાથે બેસીને વિકસાવશે...
એકલા ચાલો એટલે મંજૂરીને જંઝટ જ નહીંને ?

- સાગર રબારી

Saturday, October 13, 2018

ખેડૂતો કાયર નથી...


ગઈ કાલે મેં FB પોસ્ટ મૂકી હતી કે...
"બીજાની નિષ્ફ્ળતા શોધવા કરતા આપણે ઉણા ઉતર્યા એ વધારે જવાબદાર છે, પોતાને ખેડૂત આગેવાનો ગણાવનાર (મારા સહિત) ખેડૂતો માટે લડવામાં નિષ્ફ્ળ ગયા એ સ્વીકારવું રહ્યું....."
એ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરવા અને આપ સૌનો અભિપ્રાય જાણવા માટે હતી.

ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યારથી સત્તા પલટા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતોનો ઉપયોગ કરાયો છે. સત્તા પલટા પછી ખેડૂતો દરેક વખતે ભુલાયા છે. મોટા ભાગના બધા જ કૃષિમંત્રીઓ ખેડૂત આગેવાનો જ બન્યા છે. ગઈ કાલ સુધી ખેડૂતોની રેલી, ધરણા, સભાઓ કરનારા કૃષિ મંત્રી બન્યા પછી ખેડૂતો માટે એકાદ યોજના જાહેર કરીને સન્તોષ માની લે છે. એ જાણે છે કે આ યોજનાઓ ક્યારેય જરૂરિયાતવાળા ખેડૂતો સુધી પહોંચતી નથી. છતાં પછી એ સત્તાની રાજ-રમતની શતરંજના પ્યાદા બનીને રહી જાય છે, ખેડૂતની વેદના ભુલાઈ જાય છે.

હાલનો જે સત્તા પક્ષ છે એણે પણ સત્તાપલ્ટા માટે ખેડૂતોનો પ્યાદા તરીકે ઉપયોગ ભૂતકાળમાં કર્યો છે. એનું એક સંગઠન હતું જેને ખેડૂતો માટે જલદ આંદોલન કરેલું. રોડ-રસ્તા રોકેલા, વૃક્ષો કપાવેલાં અને વીજળીના થાંભલા તોડાવેલા. વીજળીના બિલ નહીં  ભરવા અને કોઈ કનેક્શન કાપવા આવે તો ગામમાં નહીં ઘૂસવા દેવાની હાકલો કરેલી.

એ આંદોલનમાં 19 ખેડૂતો મરેલા, અનેક ઘાયલ થયેલા. પોલીસ કેસો સહન કરેલા. એ આખા આંદોલનની રણનીતિ કોણ ઘડતું હતું, ક્યાંથી સંચાલન થતું હતું એના સાક્ષીઓ આજે પણ હયાત છે, એમના મોઢે સાંભળૉ તો સમજાય કે "રાજકારણ સત્તા માટે કેવા મોતના ખેલ ખેલી શકે, કેટલું નીચ અને નિષ્ઠુર થઇ શકે...!"
1991-92ની ચૂંટણી વખતે હાલના સત્તા પક્ષનો નારો હતો "હર હાથ કો કામ, હર ખેત કો પાની." 

ખેડૂતો મર્યા, સત્તા પલટો પણ થયો, પરંતુ "દરેક ખેતરને પાણી મળ્યું?" ના. ખેડૂત વધારે બરબાદ થયો.

દરેક આંદોલને ખેડૂતના ખભે બન્દૂક ફોડી છે, ખેડૂત દૂધનો દાજેલો છે એટલે જ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે! જે સઁગઠન ખેડૂત હિતેચ્છુ હતું એ સત્તા-પલટા પછી ખેડૂતને ભૂલી ગયું, એ પણ રાજ-રમતનું પ્યાદું બની ગયું. ખેડૂત વધુ એકવાર છેતરાઈને નોધારો થયો. જયારે ખેડૂતને સૌથી વધુ જરૂર હતી ત્યારે એ સંગઠન ક્યાંય દેખાયું નથી, ચાહે એ ખેડૂતોની જમીન સમ્પાદનની વાત હોય કે નર્મદાનું પાણી લેવા બદલ થયેલા પાણી ચોરીના કેસ હોય ! એ જ સંગઠનના આગેવાનોને સત્તા પલટા પછી "વિકાસ કરવો હોય તો જમીન તો જોઈએ" એવું કહેતા મેં સગ્ગા કાને સાંભળ્યા છે, ત્યારે હમેશા વિચાર આવ્યો છે કે "ખેડૂત કોનો ભરોસો કરે?" એટલે જ ખેડૂતો નીકળી પડતા નથી. હવે એ જ સંગઠન પાછું 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રોજ-ભૂંડનો મુદ્દો લઈને ફરી સક્રિય થઇ રહ્યું છે....

ખેડૂત ભરોસાના માણસ/સંગઠનની વાટ જુવે છે, એમને ભરોસો પડશે એ દિવસે રેલીઓ-સભાઓ-ધરણામાં સંખ્યા ગણતા થાકી જશો એટલું નક્કી.
હું રાજકારણને ગંદુ માનતો ચોખલિયો નથી, રાજકારણ ગુનો નથી, કાનૂન-બંધારણ માન્ય છે. રાજકારણમાં રસ હોય એવા સારા માણસોએ ચોક્કસ એમાં જવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પરંતુ કોઈને છેતરીને, એમાંય ખેડૂત અને ગરીબ, જે તમારી સાથે શ્રદ્ધાથી જોડાયો હોય એને આગળ કરીને તો રાજકારણ હરગિજ નહીં. એમાં ના માત્ર સામાન્ય માણસનું, સરકાર અને સમાજ, લોકશાહી પ્રક્રિયા સહિત તમામનું અહિત થાય છે એવી મારી માન્યતા છે.

હું પોતે ખેડૂત પરિવારમાં જન્મ્યો છું, ભર ઉનાળે શેઢા-પાળા સરખા કરવાથી માંડી, નિંદામણ, પેરામણ, વાવણી, હળવું, વાઢવું, ગાડું ભરીને ઘરે લાવવા અને ખળામાં કૂટવા સુધીના કામ કર્યા છે. એનો શ્રમ, પીડા ને વેદના જાતે અનુભવી છે.

એટલે દૂધનો દાજેલો ખેડૂત મારે માટે રાજકારણ કે વિદેશથી ફન્ડ લાવવાનું - વટાવવાનું સાધન કે મુદ્દો નથી, મારી સ્વયંની પીડા છે. આગેવાન કે નેતા હોવાનો મેં ક્યારેય દાવો કર્યો નથી, કરવો પણ નથી. ગામડામાં કોઈ 'સાહેબ' કહે તો જરાય ગમતું નથી..

Sunday, September 30, 2018

અછતગ્રસ્ત ગુજરાતમાં 'ડોમ-ડોમ' ભાષણે સાહ્યબી..!

વિધાનસભાની 2017ની ચૂંટણી દરમ્યાન પાણીનો જે વપરાશ કહો કે ઉપયોગ-દુરુપયોગ થયો એની વાત હાલ ના કરીએ તો પણ, ચાલુ વર્ષ ગુજરાત માટે વસમું છે. વસમાં વરસનો અંદાજ તો ચોમાસુ ખેંચાયું ત્યારે જ હતો છતાં વરસ આટલું વસમું હશે એવો અંદાજ તો નહોતો જ. આપણા ત્યાં અધિકૃત રીતે ચોમાસુ 1લી જૂનથી શરુ થાય અને 31 ઓક્ટોબરે પૂરું થયેલું ગણાય છે, ઓગસ્ટમાં અંદાજ આવી જાય કે વર્ષ કેવું હશે.

ચાલુ વરસના ભારત સરકારના હવામાન વિભાગના આંકડા જોઈએ તો,  ગુજરાતમાં માત્ર એક ગીર સોમનાથ જિલ્લો છે જ્યાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો, એકસામટો પડ્યો ને તારાજી વેરી ગયો એ જુદી વાત છે પરંતુ આંકડાની ભાષામાં તો સામાન્ય કરતા 61% વધારે વરસાદ થયો છે.

10 જિલ્લા એવા છે જેમાં સામાન્ય (પ્રમાણસરનો) વરસાદ થયો છે, સરકારની પ્રમાણસરની વ્યાખ્યામાં સરેરાશ કરતા 19 % વધારે કે ઓછો હોય તો સામાન્ય ગણાય છે. આ સામાન્ય વરસાદના જિલ્લાઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના છે. આ 10 જિલ્લાઓના નામની સામે કૌંસમાં + અને - ની નિશાની છે તે વરસાદ એટલો વધારે કે ઓછો છે તે બતાવે છે.
1. વલસાડ …………………………………          +7
2. ડાંગ ……………………………………….       +11
3. નવસારી …………………………………..       +11
4. સુરત ……………………………………….      +3
5. ભરૂચ ……………………………………....        -6
6. આણંદ……………………………………….      +5
7. પંચમહાલ …………………………………..     -19
8. અરવલ્લી ………………………………… ....  -14
9. અમરેલી ……………………………………..    -5
10. જૂનાગઢ …………………………………….. +5

બીજી બાજુ 20% થી લઈને 59 % જેટલો ઓછો વરસાદ થયો હોય એવા 18 જિલ્લા છે:
1. તાપી …………………………………..        -23
2. નર્મદા ……………………………........       +37
3. વડોદરા ……………………………....         -41
4. છોટા ઉદેપુર …………………………         +25
5. મહીસાગર …………………………...          -25
6. ખેડા. ……………………………......           -26
7. સાબરકાંઠા ………………………..….         -33
8. મહેસાણા ………………………..…...          -55
9. ગાંધીનગર ……………………...…             -54
10. અમદાવાદ ………………………              -55
11. સુરેન્દ્રનગર ……………………….            -52
12. બોટાદ ………………………..…...            -21
13. ભાવનગર …………………...…….           -22
14. મોરબી ……………………...……...          -53
15. રાજકોટ …………………...………...         -36
16. જામનગર ………………....………..          -33
17. પોરબંદર ………………..…………..        -31
18. દેવભૂમિ દ્વારકા …………....……………    -41
અને સૌથી કારમી સ્થિતી ઉભી થઇ હોય તો એ છે...
1. બનાસકાંઠા ……………………………... -62
2. પાટણ ……………………………........... -64
3. કચ્છ ..... ……………………………......  -64

ભારત સરકારના આંકડા છે. ખોટા છે, સરકારને બદનામ કરવાનું કાવતરું છે, એવું કહેવાની જગ્યા જ નથી ગુજરાત સરકાર પાસે. બીજી બાજુ સરદાર સરોવર ડેમના દરવાજા લાગશે એટલે ગુજરાત નંદનવન બની જશે, પાણીની અછત ભૂતકાળ બની જશે વગેરેને લઈને 25 વર્ષ સુધી ગુજરાતની જનતા અને ખેડૂતોને ભરપૂર મૂર્ખ બનાવ્યા, ખેડૂતોના રોષમાં એક કારણ, ભરપેટ મૂર્ખ બન્યા-છેતરાયાનો ગુસ્સો પણ છે જ. હવે એ જ ડેમ, દરવાજા લાગવા છતાં, ઉભા પાક - કપાસ, મગફળી, એરંડા વગેરેને સુકાતા બચાવી શકતો નથી, સગા દીકરા જેમ ઉછેરેલા છોડવા નજર સામે સુકાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ગયે ઉનાળે સરકારે મોટા પાયેઉત્સવ ઉજવીને કરેલી જળક્રાંતિ હૈયે વાગે છે.

આવા કપર પ્રસંગે, દુઃખની ઘડીમાં સરકાર કયું રાજકારણ કરે છે એ સમજાતું નથી. ગામડામાં પીવાનું પાણી મુશ્કેલ છે, પશુઓને ચારો મુશ્કેલ છે અને ખેતમજૂરોને કામ નથી તોય સરકાર "અછતરગ્રસ્ત" અથવા "અર્ધ-અછતરગ્રસ્ત" વિસ્તારોની જાહેરાત કરવામાં આટ-આટલો વિલંબ કેમ કરી રહી છે? વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાઈ જાય એટલા માટે? કોઈ ટોણો ના મારે કે ગુજરાતની જનતા તરસે મરતી હતી, પશુઓ ચારા વગર ટળવળતા હતા, ઉભા પાક સુકાતા હતા, કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પોતાના તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આવેદનપત્ર આપતા હતા, મોરબીના ખેડૂતો બહુપ્રચરિત "સૌની" યોજનાના વાયદા પ્રમાણે ડેમી-2 અને ડેમી-3 બંધમાં પાણી નાખવા માટે સરકારનું ધ્યાન દોરવા હવાતિયાં મારી રહ્યા હતા અને બીજી બાજુ રાજ્ય આખાનું મંત્રી મંડળ વડાપ્રધાનની સભાઓમાં ભીડ ભેગી કરવા એસટીના રૂટ કેન્સલ કરીને વાહન વ્યવસ્થા કરી રહ્યું હતું? મોંઘેરા મહેમાનો માટે 1500/- રૂપિયાની થાળીની વ્યસ્થામાં કરવામાં સરકાર વ્યસ્ત હતી.

ઇતિહાસ નોંધશે કે જનતા બચવા માટે રાન-રાન ભટકી રહી હતી ત્યારે સરકાર ઉજવણીમાં મસ્ત હતી અને જનતાએ જેને વિરોધપક્ષની ભૂમિકા સોંપી છે - જેનું કામ સરકાર પર નિગરાની રાખવાનું, અંકુશ મુકવાનું છે - એ પગાર વધારાની મસ્તીમાં મસ્ત હતો!! આજે કોઈએ ભડકે બળતા રોમ ને ફીડલ વગાડતા નીરોને યાદ કરવાની જરૂર નથી, નજરે જોઈ લો, જાતે અનુભવી લો... આ જ સ્થિતિ રોમની હતી જે આજે આપણી છે, ચહેરા બદલાય છે, વૃત્તિ અને વિલાસિતા એ જ છે !


- સાગર રબારી

Saturday, September 29, 2018

ખેડૂતો સાવધાન, ચેતતા રહેજો, ચૂંટણી આવે છે!

વિધાનસભાની ચૂંટણી આવી ને ગઈ, એ વખતે પાણીની રેલમછેલ હતી, જેવી ચૂંટણી પતી કે નર્મદામાં પાણી સુકાઈ ગયું. સરકારના ઈશારે કેટલાક છાપાં ખાલી નર્મદાના ફોટા છાપવા મંડ્યા, ખેડૂતોને પરોક્ષ રીતે સમજાવવા માટે કે પાણી જ ના હોય તો સરકાર શું કરે? સરકારને બચાવવાની પેરવી હતી. વિધાનસભામાં માર ખાઈ ચુકેલી સરકાર હવે ડેમમાં પાણી છે તોય એના કમાન્ડ વિસ્તાર એવા સુરેન્દ્રનગર-મોરબી-અમદાવાદ-ભાવનગર-બોટાદ-મહેસાણા-પાટણ-બનાસકાંઠા-કચ્છના ખેડૂતોના ઉભા પાક સુકાવા દઈ રહી છે, પાણી છોડતી નથી.

કલ્પસર પછી 'સૌની' યોજનાના નામે ખેડૂતોને મૂરખ બનાવે છે, જો પાણી છે તો સૌની યોજનામાં સમાવેલા ડેમ ભરતા કેમ નથી? કેમ ખેડૂતો ડેમમાં ક્રિકેટ રમે છે તોય જોતા નથી? ઉભા કપાસ-મગફળી જેવા કિંમતી પાક સુકાઈ જાય પછી પાણીને શું કરશું? આ તો "મા મર્યા પછી કાજુ-બદામની ખીચડી ખવડાવવા જેવી વાત છે."

ખેડૂતો ડેમના દરવાજાના રાજકારણમાં મૂર્ખ બનતા રહ્યા ને એમનું પાણી ચોરાઈ ગયું. દરવાજા લગાવ્યા તોય ચોમાસુ પાક બચાવવા પાણી તો મળતું નથી. એટલે, પાણી-વિસ્તાર-જ્ઞાતિ-ધર્મને નામે થતા રાજકારણને સમજો અને એ પ્રમાણે નિર્ણય કરો.

હવે ચૂંટણી સામે આવે છે, ખેડૂતો, ખાસ સૌરાષ્ટ્રના, ધ્યાન રાખજો, ભૂતકાળ ચકાસ્યા વગર કોઈ નેતા/સંગઠનની જાળમાં ફસાશો નહીં. નેતાગીરી તમારી રાખો, માર્ગદર્શન બધાનું લો તો જ ઉદ્ધાર થશે. હમણાં હમણાં સૌરાષ્ટ્રના ખેડૂતોના ફોન આવે છે કે ભૂતકાળમાં ખેડૂતોને છેતરનારા સંગઠનો ફરીથી ખેડૂતોના હામી બનવાનો દંભ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે. ગામે ગામ ફરી ભૂંડ અને નીલગાયના મુદ્દે આંદોલન કરવાની વાતો કરે છે, ખેડૂતો માથે ચડેલું દેવું, પાણી, ભાવ વગેરે એમના માટે મુદ્દા નથી, કારણ એ માંગે તો સરકારમાંથી ઠપકો મળે એમ છે! એટલે  ખેડૂતોને એમના ઉપર વિશ્વાસ બેસતો નથી, મને ફોન કરે છે, કૈંક કરવા કહે છે.

મારે એટલું જ કહેવું છે કે, તમારા  ગામમાં આવતા કોઈને હું કેવી રીતે રોકી શકું? તમારા ગામમાં આવનારનું સ્વાગત કેવી રીતે કરવું એ તમારે નક્કી કરવાનું હોય ને? આવડે ને સુજે એવું સ્વાગત કરો. દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. મૂરખ બનાવવાવાળા તો બનાવશે, એમનો તો ધંધો છે રાજકીય દલાલી કરવાનો. ખેડૂતો વારે વારે મૂરખ બનનારા કેવા? શા માટે વારે વારે છેતરાવ છો? કોઈ પારકો આવીને તમારો ઉદ્ધાર નહીં કરે એ લખી રાખો. તમારી મુશ્કેલીઓ તમને ખબર છે, એના ઉકેલ પણ તમારી પાસે છે તો બીજાની રાહ કેમ જુઓ છે?

હું ઈચ્છું છું કે ગુજરાતના ગામે ગામ ખેડૂત યુવાનો પોતે આગળ આવે અને નેતાગીરી હાથમાં લે, તાલુકે તાલુકે સંગઠન બનાવો, જ્યાં માર્ગદર્શન કે મદદની જરૂર હોય ત્યાં ભરોષો બેસે એની મદદ લો. દરેક સંગઠનો મળીને રાજ્ય સ્તરનું ફેડરેશન બનાવો અને રાજ્યસ્તરના મુદ્દા એની સાથે મળીને ઉઠાવો.

ખેડૂતોના મોટા ભાગના મુદ્દા તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉકલે એવા હોય છે, એના માટે ગાંધીનગર આવવાની કે રાજ્યસ્તરના સંગઠનની જરૂર ખુબ ઓછી હોય છે.

ખેડૂતો અનેકવાર છેતરાયા છે એટલે બહાર નીકળતા નથી એ વાત સાચી છે છતાં, ઘર પકડીને બેસી રહેવાથી કાંઈ નહીં વળે, લોકશાહીમાં તો માથા ગણાય છે, જાગો અને સંગઠિત થઇ બહાર નીકળો તો જ ઉદ્ધાર થશે. 500-1000 ખેડૂતો સાથે મળીને મામલતદાર કે કલેક્ટર ઓફિસે જાય તો કામ કેમ ના થાય? રોટલા લઈને જઈએ અથવા ત્યાં જ ચૂલો પેટાવીએ, ગરમા-ગરમ રાંધીએ ને ખાઈએ, કામ પતે ના ત્યાં સુધી ધામા નાખીએ તો તંત્ર રાડ પાડી જશે ને કામ કરવા માંડશે. એકવાર તંત્ર પર ધાક બેસાડશો તો જતા જ કામ થવા માંડશે. આજે નાના નાના કામો માટે જુદા જુદા જઈને ભ્રસ્ટાચારનો ભોગ બનો છો તે સદંતર બંધ થઇ જશે.

ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે હમણાં હમણાં મીડિયામાં ચમકવા માટે કાર્યક્રમો કરવાનું ચલણ વધ્યું છે એ ભયજનક છે. જરૂરીયાત પ્રમાણે કામ અને કાર્યક્રમ કરો, મીડિયા બધું સમજે છે, એમને આપણા કરતા ઘણી વધારે ખબર છે કે કોણ શું છે, શું કરે છે અને કેમ કરે છે. મીડિયામાં આવવાથી મુદ્દા નથી ઉકલતા, કામ કરવાથી ઉકલશે અને લોકોના દુઃખ દૂર થશે તો મીડિયા ચોક્કસ નોંધ લેશે એવો મારો વર્ષોનો અનુભવ છે.
એટલે ફરી ફરી વિનંતી કરું છું, ખોટા હાથોમાં ફસાશો નહીં, સાવચેત રહો, વારે વારે છેતરાઈએ તો ભોળા નહીં, મૂરખા ગણાઈએ. વાતને ખોટી રીતે લેશો નહીં, લાંબાગાળે સાચી લાગશે.

બીજું, વારે વારે ખેડૂતોને ખોટા ખોટા મુદ્દા લઈને છેતરવા નીકળનારાઓને એટલું જ કહેવું છે, "તમારું પેટ ના ભરાતું હોય, રાજકીય પક્ષની દલાલી વગર છોકરા ભૂખે મરતા હોય તો 12 મહિનાની બાજરી માંગી લેજો, ખેડૂતો ઉદારતાથી આપી દેશે પણ, મહેરબાની કરીને, તમારી દલાલી વાસ્તે, ખેડૂતોને છેતરશો નહીં."

Friday, September 21, 2018

અમે મૂઆ બે લાખના!

ગઈ કાલે નાયબ મુખ્યમંત્રીશ્રીએ થોડા દિવસથી જેની રાહ જોવાતી હતી એ "ખેડૂત માટે મહત્વની જાહેરાત" કરી. જાહેરાતમાં નવું કશું નહોતું. અગાઉ શ્રીમતી આનંદીબહેન આની જાહેરાત કરી ચુક્યા હતા, એમણે તો 4 લાખ આપવાની જાહેરાત કરી હતી, પાના ભરી ભરીને જાહેરાતોય કરી હતી. વિજયભાઈ/નીતિનભાઈ તો કન્જુસ નીકળ્યા, બહેને 4 લાખ કહ્યા હતા એ અડધા કરી નાખ્યા- 2 લાખ, ઇજા થાય તો 1 લાખ.

આ જ વસ્તુ જો ઉદ્યોગોને આપવાની હોત તો કેટલા લાખની જાહેરાત થાત? અહીં, દારૂબંધીનો ભંગ કરે, કાયદાનો ભંગ કરે અને મરે તો 4-5 લાખ આપે, મોટા રોડ અકસ્માતમાં મરે તો પણ લાખો મળે, પરંતુ ખેડૂત ખેતરે કામ કરતા, સાપ-વીંચ્છીના ડંખથી મરે, વીજળી પડવાથી મરે, હિંસક પ્રાણીનો શિકાર બને તો 2 લાખ! આવું કેમ એટલું જ પૂછવું છે.

બીજું, આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પરિવારજનોનો જ સમાવેશ કર્યો છે. વાસ્તવિકતા છે કે ગુજરાતમાં ઘણા જમીન-વિહોણા, આદિવાસીઓ અને શિક્ષિત બે-રોજગારો જમીન ભાગે કે ભાડે રાખીને ખેતી કરે છે. પરિવારના સભ્ય ના હોવાને કારણે ખરેખર ખેતરમાં કામ કરતા ખેત મજૂરો, ભાગે-ભાડે જમીન રાખનારા લોકોને આ યોજનાનો કોઈ લાભ મળવાનો નથી. શ્રી નીતિનભાઈને પણ થોડી-ઘણી જમીન વારસામાં મળી હશે પરંતુ તેઓ જાતે કે એમના પરિવારનું કોણ ખેતરમાં કામ કરવા પાવડો લઈને જતું હશે? તો આ યોજનામાં એમના ખેતરમાં કામ કરતા ગરીબને સમાવવાનો વિચાર એમને આવવો જોઈતો હતો. ખેર, હજી મોડું નથી થયું, સુધારો કરીને એમને સમાવવા જોઈએ.

એવી જ રીતે, ગુજરાતની પૂર્વપટ્ટી, અરવલ્લીના ડુંગરોમાં વસતા આદિવાસી, ભા.જ.પ. કે સંઘની ભાષામાં કહીએ તો 'વનવાસીઓ' આ યોજનાના લાભથી વંચિત રહેશે. એમને સરકારે સનદ નામે પતાકડું પકડાવીને આબાદ છેતર્યા છે, એમની પાસે ના તો 7/12 ના ઉતારા છે, ના 6ના હક્કપત્રક કે 8- અ ની નોંધો ય નથી. આવા ખાતાવગરના ખેડૂતોનું શું? સરકારે સુધારો કરવો જોઈએ અને આ બે સૌથી વધારે જોખમ લેતા ને જરૂરિયાતવાળા સાચા ખેડૂતોને લાભ આપવો જ જોઈએ.

ભા.જ.પ. સરકારની યોજના હોય અને કમ્પની ના કમાય તો યોજના શું કામની? ભલેને ખેડૂત, બેરોજગાર, શિક્ષણ, વીજળી, ગામડાના ઉદ્ધાર, વિદ્યાર્થી, શિક્ષણ કે દેશના સંરક્ષણને નામે જ કેમ ના હોય? આ યોજનામાં પણ નાણાં મન્ત્રીશ્રીએ આપેલા આંકડા પ્રમાણે વર્ષે સરેરાશ 1500 ખેડૂત અકસ્માતના કેસો નોંધાય છે. એ બધા કેસો મૃત્યું ના હોય, એમાં ગમ્ભીર ઇજાના કેસો પણ હોય જેમને 1,00,000 રૂપિયા સુધીની સહાય ચુકવવાની છે. એની સામે સરકાર કમ્પનીને 70-80 કરોડ રૂપિયા પ્રીમિયમના ચુકવશે. સાદો હિસાબ માંડીએ તો, 1500 મૃત્યુના કેસ ગણીએ અને ખેડૂતોને 2,00,000 લાખ લેખે ચૂકવે તો 30,00,00,000(ત્રીસ કરોડ) રૂપિયા ચૂકવવાના થાય. સીધા 40-50 કરોડ રૂપિયા કમ્પનીના ખિસ્સામાં બચે.

આના કરતા, સરકાર પોતાની પાસે અલગ ફન્ડ 70-80 કરોડ રૂપિયાનું રાખે તો ખેડૂતને આનંદીબહેને કરેલા વાયદા પ્રમાણે 4 લાખ ચૂકવે તોય 60 કરોડ રૂપિયા થાય, દુઃખી પરિવારને 2 લાખ રૂપિયા વધારે સહાય મળે અને સરકારના 10-20 કરોડ બચે એ જનતાના ભલામાં વપરાય.

પરંતુ આ તો "ભય, ભૂખ અને ભ્રસ્ટાચાર મુક્ત ગુજરાત" અને "હર હાથ કો કામ, હર ખેત કો પાની" ના વાયદા કરીને સત્તામાં આવેલો પક્ષ એમ થોડો જ વાયદા પાળે, એમના તો વાયદા હોય છે જ તોડવા માટે, છેતરવા માટે. ગુજરાતમાં અત્યારે ક્યારેય નહોતો એટલો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છે, સરકારી આંકડાનો જ અભ્યાસ કરી લો જેથી સાચી સ્થિતિનો ખ્યાલ આવે.

સામાન્ય જનતાને લાગે કે સરકારે ખેડૂતોને ઘણું આપ્યું છતાં ખેડૂતો માગ માગ કરે છે, ધરાતા જ નથી! પરંતુ દોસ્તો, તમારા ટેક્ષના નાણાં ખેડૂતના ખાતામાં નહીં, વચેટિયા અને ઉદ્યોગપતિઓના ખાતામાં જાય છે.  'માર ખેડૂત ખાય ને માલ વચેટિયા ખાય' એ જ થાય છે ને થવાનું છે.

Thursday, September 20, 2018

ધારાસભ્યોની ગરીબી ધનની છે કે મનની?

નાનપણમાં એક કહેવત સાંભળી હતી કે ગરીબી બે પ્રકારની હોય છે; પહેલી ગરીબી ધનની હોય જેમાં વ્યક્તિ ગરીબ હોય પરંતુ સમયાંતરે 'બોરડી બે પાંદડે' થાય, એટલે કે પૈસાદાર થાય ત્યારે મનની અમીરી આવે. બીજી ગરીબી મનની હોય, ધન ગમે તેટલું હોય તોય ઓછું જ પડે, પૈસો કદી કોઈ કામ માટે છૂટે નહિ, અથવા કહીએ તો 'ચમડી જાય પણ દમડી' ના જાય એને મનની ગરીબી કહેવાય. ધનનો ગરીબ તો સમય જતા અમીર થાય પણ મનનો ગરીબ જીવનભર ગરીબ જ રહે, ગરીબ જ મરે, ક્યારેય અમીર ના થાય!

ધારાસભ્યોના પગાર વધારાનો સમ્બન્ધ વધારે તો મનની ગરીબી સાથે છે, મોંઘી ઇનોવા કે ફોરટ્યૂનર ગાડીઓ વાપરતા લોકો પાસે ઘર ચલાવવા પૈસા નથી એ દલીલ કોના ગળે ઉતરે સિવાય કે કોઈ "ભગત"?

1,16,000 રૂપિયાનો પગાર, ગાંધીનગરમાં રહેવા મફત ઘર, જમવામાં સબસીડી, પ્રવાસમાં હોય તો મફતના ભાવે સર્કિટ હાઉસોની જાહોજલાલી, વિધાનસભામાં હાજરી આપવાના ભથ્થા ઉપરાંત ઘણું બધું મેળવતા હોવા છતાં બિચારા ગરીબ છે! આવી ગરીબી મારા દેશના બધા નાગરિકો ભોગવી શકે તો કેવું?

આ ગરીબો એમના કરતા ઘણા અમીર - મહિને 17,000 સત્તર હજાર જેવી માતબર રકમ કમાતા - અમીરોની સેવા માટે રાત દિવસ એક કરે છે તો એમના બાળકોની ચિંતા કરવાની જવાબદારી માસિક સરાસરી 17000 જેવી માતબર રકમ કમાતા અમીર ગુજરાતીઓની ખરી કે નહીં? આ સરાસરીમાંથી જો મોટા ઉદ્યોગપતિઓની રકમ બાદ કરીએ તો તો કેટલી મોટી રકમ આ ગુજરાતી અમીરો કમાતા હશે?

આ રાજ્યના નાગરિકો એટલા અમીર છે કે એમના બાળકો માટે મોંઘી ફી ભરવી પડે એવી નિશાળોની વ્યવસ્થા કરવા માટે, એમના ભણેલા ગણેલા સંતાનોને નોકરી ના કરવી પડે, પાનના ગલ્લે કે ચાની કીટલીએ ટાઈમ પાસ કરી શકે એટલા માટે બેરોજગારીની પાકી વ્યવસ્થા કરવા માટે દર બે વર્ષે "વાઇબ્રન્ટ"નું આયોજન કરવા રાત-દિવસ મથતા સેવકોના બાળકોની તો ચિંતા કરેજ ને? "મત કેમ આપે છે?" એમના બાળકોનું ફિક્સ પગાર રૂપે બરાબર શોષણ કરી શકાય, ખેડૂતોને દેવાળિયા બનાવી શકાય, બાળકોને કુપોષિત રાખી શકાય એટલા માટે જ તો? અહીં તો સરકારી અનર્થશાસ્ત્રીઓ પણ સેવામાં હાજર છે, ખેડૂતોની દેવા માફીની વાત હોય કે, પૂરો પગાર ચુકવવાની વાત હોય, ફિસ્કલ ડેફિસિટના છાજીયા લેતા આ બધા આજે ખોવાયા છે, એમનેય બટકું રોટલાની ભૂખ તો ખરી કે નહીં? હા, આ એ રાજ્ય છે જ્યાં દુષ્કાળ, અર્ધ-દુષ્કાળની સ્થિતિ છે, પશુઓને ચારો આપવાના સરકાર પાસે પૈસા નથી, પશુપાલક ઢીઠ મંદ 5 પશુનો ચારો આપે છે પણ હા, "સેવકો"ના પગાર વધારા માટે પૈસા છે. ઢોર ભૂખે મરે તો મરે, સેવકોના સંતાનો થોડા જ ભૂખે મરાય?

એ તો મૂર્ખ લોકો છે જે ઉચ્ચ શિક્ષણ મેળવી, જન્ગલોમાં વસી આદિવાસીઓ કે ગામડાઓમાં વસી ગરીબોના ઊંત્થાન માટે જીવન સમર્પિત કરે છે, એવું તો કરાતું હશે ? "સેવા" કરતા શીખો, કમાતા-ધમાતા, વેરો ભરતા, મહિને 17,000 જેટલી માતબર રકમ કમાતા નાગરિકો પાસેથી વળતર-પગાર- તો વસૂલવાનો જ હોય ને? આવા મૂડીપતિઓના સેવકોના બાળકો ભૂખે મરે એ કેમ ચાલે? મહેન્દ્ર મશરૂ તો "સેવા"નો મર્મ સમજતા નહોતા એટલે વિરોધ કરતા હતા, આ વિદ્વાનો એવા થોડા જ છે?

માંડ કોંગ્રેસને ફસાવવાની આવી તક આવે તો થોડી જ છોડાય? કોંગ્રેસ જેમના નામની દુહાઈઓ દઈ દઈને પ્રેસઃકોન્ફ્રાન્સો કરતી હતી એ ખેડૂતો, ફિક્સ-પગારવાળા, આંગણવાડીની બહેનો, બેરોજગારો, ખાનગી શાળાઓની ફી સામે લડતા વાલીઓ- એમ તમામની સામે કોંગ્રેસને  ઉઘાડી કરી દીધી. શ્રી નીતિનભાઈએ વિધાનસભામાં  ખોંખારો ખાઈને પૂછ્યું કે કોઈને વિરોધ હોય તો કહો, પણ વિધાનસભામાં અમીરોની સેવા કરવા બેઠેલા એવા ભોળા થોડા જ છે કે બોલે? એક વાક્યએ બધાના ચહેરા ઉપરથી દંભના "મુખૌટા" ઉતારી દીધા. કોંગ્રેસના વ્યૂહરચનાકારોની માનસિક પંગુતા જગતના ચોકમાં ઉઘાડી કરી દીધી.

કોંગ્રેસ પર સોસીઅલ મીડિયામાં પડતી પસ્તાળથી ભા.જ.પ. પ્રેમીઓ ખુશ હશે, પણ એ ખુશી લાંબી ટકવાની નથી, બિલ તો તમે લાવ્યા હતા કોંગ્રેસને ઉઘાડી પાડવા પણ તમારા રાજકીય દાવ-પેચમાં તિજોરી તો અમારી - જનતાની- લૂંટાઈ છે, છડે ચોક, ધોળે દહાડે ધાડ પડી છે. ગામડે આવો, તમારોએ જવાબ માગીશું - લઈશું. ભાજપ-કોંગ્રેસ, બંને ભાઈઓએ જવાબ આપવો પડશે, ભલે ભારે પડે... દુકાળના વર્ષમાં, સિંચાઇના પાણીના અભાવે, અમનેય આ બોજ ઘણો ભારે પડ્યો છે - છાતીએ વાગ્યો છે. 2019 માં મત લેવાના છે, જવાબ તો આપવો પડે એવી પાકી વ્યવસ્થા ગોઠવીશું, ચિંતા ના કરતા, સુખે પગાર-વધારો વાપરજો- તમારા કુપોષિત બાળકોને સારું સારું ખવડાવજો...

દોસ્તો, આ મનના ગરીબો ક્યારેય અમીર નહીં થાય જો જનતા જાગીને હિસાબ ના માંગે, આપણી આટ-આટલી સેવા કરતા આ મનના ગરીબોનો હિસાબ માંગવાનો સમય પાકી ગયો છે, નાગરિકો જાગો અને હિસાબ માંગો નહિતર ગુજરાતનું દેવું 3,00,000 લાખ કરોડને આંબવામાં છે, તમારા સન્તાનો ભીખ માગશે તોય આમની સેવા પુરી નહીં થાય..!

Wednesday, September 12, 2018

પારણાં...

ભાઈ હાર્દિક પટેલના પારણાં...

19 દિવસના ઉપવાસ પછી આજે હાર્દિક પટેલે પારણાં કર્યા એના વમળો સમાજમાં ઉઠવા સ્વાભાવિક છે! વખાણથી ફુલાવાનું કે ટીકાથી ડરવાની ઉતાવળ કરવા જેવી નથી. દરેક સિક્કાની બે બાજુ હોય છે, જુદી જુદી બાજુથી જોનારાને જુદું દેખાય એનો અર્થ એ નથી કે બેમાંથી કોઈ એક ખોટો છે.

સરકાર વાત કરતી નથી, વાત સાંભળતી નથી, ડંડાના જોરે હાંકતી હોય ત્યારે ઉપવાસ કેટલા ખેંચાય? ઇરોમ શર્મિલાના ઉપવાસ કેટલા વર્ષ ચાલ્યા? પરિણામ ના મળ્યું, ચૂંટણીમાં મત પણ ના મળ્યા એનો અર્થ હરગીજ  એવો નથી કે ઇરોમ શર્મિલા ખોટાં હતા!

ઉપવાસનું શસ્ત્ર નીતિવાન, મૂલ્યનિષ્ઠ વિરોધી સામે શોભે. જે બંધારણમાં ના મને, નીતિ-નિયમ કે લોકશાહી મૂલ્યોમાં ના માને એની સામે ઉપવાસનો અર્થ શો? ઉપવાસના પારણાં એક રીતે સમાજ માટે ગમ્ભીર ચિંતનનો મુદ્દો છે, આપણે એવી તે કેવી સરકાર ચૂંટી છે જે નાગરિક સાથે વાત સુધ્ધાં નથી કરતી? 
નક્સલવાદ-માઓવાદ-આતંકવાદ બધા સાથે વાત થતી હોય છે અને થવી જોઈએ તો જ સમસ્યાનું કાયમી સમાધાન આવે. હાર્દિક પટેલની 3 માંગણીઓ પૈકી, અનામતની માંગણી બન્ધારણીય મુદ્દો ગણીએ તો એ પણ વાટાઘાટથી જ ઉકલે, વાટાઘાટથી રસ્તો મળે અથવા આંદોલનકારીઓને ગળે ઉતારી શકાય કે માંગણી સ્વીકારી શકાય એવી નથી, પણ વાટાઘાટ વગર તો એ કેવી રીતે થાય?

બીજી બે માંગણીઓ; ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ. આ બન્ને માંગણીઓ તો સરકાર ઉકેલી જ શકે. ખેડુનાં મુદ્દે પણ વાત ના કેમ કરી શકાય?

કથીરિયા પર લાગેલો રાજદ્રોહનો આરોપ ખોટો છે, આંદોલન કરવાથી રાજદ્રોહ થતો નથી, ઉલટું હમણાં ન્યાયાધીશ શ્રી ચુંદ્રચુડે કહ્યું એમ dissent is sefty valve of democracy "આંદોલન તો જનતામાં વ્યાપેલા ધૂંધવાટનું નિકાસબારું છે," જો નિકાસબારું પુરી દેશો તો વિસ્ફોટ થશે, એના માટે સમાજ નહીં, સરકાર જવાબદાર ગણાય. આપણે લોકશાહી મૂલ્યો આધારિત સમાજની રચના કરવી છે કે વિસ્ફોટક સમાજની એ વિચારવાનો આ સમય છે. 19 દિવસના લાંઘણ પછી વિના ઉકેલે પારણાં થાય એમાં આંદોલનકારી તરીકે હાર્દિક પટેલ માટે નહીં, સરકાર માટે વાત સુધ્ધાં ના કરવાની શરમ છુપાયેલી છે. આજ પારણાં જો સરકાર વાત હાર્દિક પટેલના ગળે ઉતારીને કરાવી શકી હોત તો બંને ને શોભતું થાત, એમાં કોઈની હાર ના હોત લોકશાહીની જીત હોત. પણ, કાશ, "બૉયે પેડ બબૂલ કે તો આમ કહા સે હોય?" બાવળ વાવે કેરી ના પાકે એવો ઘાટ થયો છે, સરકાર સરમુખત્યાર ચૂંટીએ છીએ અને આશા લોકશાહીની રાખીએ છીએ....
- સાગર રબારી 

Sunday, September 9, 2018

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય?

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય?

મન હોય તો માળવે જવાય.

ગઈ કાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે કે, રાજ્યસ્તરની બેન્ક સમિતિના છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબા ગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેક્ટર વગેરે માટે લીધેલી લોન) 36,468 કરોડ રૂપિયા મળી કુલ 82,075 કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડો જ બતાવે છે કે ગુજરાતનો (ખેડૂતોનો) કેટલો વિકાસ થયો છે, સાચો વિકાસ થયો છે કે ખોટો થયો છે?
નિષ્ણાતો કહે છે કે...
1. રાજ્યના બજેટના 45% જેટલી રકમ છે, કેવી રીતે માફ કરીએ? આટલા બધા પૈસા ક્યાંથી આવે?
2. આટલી રકમ ઉભી કરવા માટે વેરો વધારવો પડે જે જીએસટીને કારણે હવે શક્ય નથી.

સરકારે હવે જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય છે.
1. એક નેનો માટે 32000 કરોડ આપ્યા તો બજેટ કેમ ના ખોરવાયું?
2. છેલ્લા કેગ અહેવાલ પ્રમાણે જન્તરિના ભાવો ના વધારવાથી રાજ્યને 25000 કરોડનું નુકશાન ગયું છે. આવા નુકશાન નહીં કરવાના એટલે રકમ મળી જાય.
3. અદાણીને એકથી 25 રૂપિયાના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન ના વેચીએ તો કેટલી રકમ ઉભી થાય? ખેડૂતોનું બધું દેવું માફ થઇ જાય એટલી રકમ મળે. બીજા કોને કોને શું ભાવે જમીન આપી અને કેટલું નુકશાન કર્યું એ ના કરો એટલે ખેડૂતોનું દેવું માફ કરવા જેટલા પૈસા મળી જાય.
4. સરકાર અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવો વધારી આપવાની છે? એ રકમ બચાવો તો કેટલી બચે એનો તો જવાબ આપો? સરવાળે ખેડુનાં દેવાની રકમ એમાંથી જ નીકળી જશે.
5. ગુજરાત સરકાર આવનારા વાઈબ્રન્ટમાં કેટલી રકમ ખર્ચવાની છે એ તો કહો, એ રકમ બચાવી લો.
6. અત્યાર સુધી વાઈબ્રન્ટના તાયફાઓમાં કેટલા રૂપિયા ગુજરાતની જનતાના ઉડાડ્યા અને કેટલા યુવાનોને કાયમી નોકરી આપી એનો તો હિસાબ આપો એટલે રકમ મળી જશે.
7. સરકાર હવે સરકારી અર્થશાસ્ત્રીઓ (અનર્થશાસ્ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરુદ્ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે.
8. ગુજરાત સરકાર ખેડૂતો માટેની યોજનાઓ - જેનો લાભ એમના મળતિયા અને ઉદ્યોગો લઇ જાય છે - ગણાવવાને બદલે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગોને કેટલી રકમ આપી અને ખેડૂતોને કેટલી રકમ આપી એની વિગત આપે એટલે જવાબ જડી જશે.

ખેડૂતોને માત્ર દેવા માફી નહીં, કુલ આટલું આપો તો જ કાયમી ઉકેલ આવશે.
1. હાલનું દેવું તમામ, લાંબા અને ટૂંકા ગાળાનું માફ કરો,
2. સી-2+50% નફો ઘણીને ટેકાના ભાવ આપો,
3. મહારાષ્ટ્રની ભા.જ.પ. સરકારે કર્યું એમ ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદીને સજા અને દંડ પાત્ર ગુનો ગણતો કાયદો કરો,
4. ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો - સિંચાઈ, 24 કલાક વીજળી, જન્ગલી જાનવરોના ત્રાસથી મુક્તિ - આપો, કુદરતી હોનારતો વખતે સહાયની નીતિ બનાવો,
5. ખેતીને નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઇ જાય છે તે બન્ધ કરો,
6. ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્યવસ્થા ઉભી કરો,

આટલું થાય તો ખેડુનાં મુદ્દાનો કાયમી ઉકેલ આવશે નહિતર આભ ફાટે ને થીગડાં મારીએ એવી દશા થશે.
- સાગર રબારી 

Thursday, August 30, 2018

પાક વીમો: સગવડ કે ખેડૂત માથે પનોતી?

પાક વીમો: સગવડ કે ખેડૂત માથે પનોતી?

સરકારે જેનો ખુબ પ્રચાર-પ્રસાર કર્યો ને ખેડૂતોને સપના બતાવ્યા કે એમના બધા દુઃખ હવે દૂર થઇ જશે એ પાકવીમાને સમજીએ.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના (ટૂંકમાં પાકવીમો)ની કેન્દ્ર સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ અંતરળયે પ્રસિદ્ધ કરેલી માર્ગદર્શિકા મુજબ, પાકવિમાં યોજનાનો હેતુ છે:

  1. પાક નુકશાની અથવા અણધાર્યા વિઘ્નોને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકશાન સામે ખેડૂતને આર્થિક ટેકો કરવો,
  2. ખેડૂતો ખેતીમાં નભી શકે તે માટે તેમની આવક સુનિશ્ચિત કરવી,
  3. ખેડૂતોને સંશોધનાત્મક અને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા,
  4. ખેડૂતોને પાક ઉત્પાદનમાં થતા નુક્શાનની સામે રક્ષણ આપવા ઉપરાંત, ખેતી ક્ષેત્રને મળતા ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો, જેથી અન્ના સલામતી, પાકની વિવિધતા, વિકાસ અને સ્પર્ધત્મક્તા વધારી શકાય.

પાક વીમો...
1. મંડળી કે બેન્કનું ધિરાણ લેનારા તમામ ખેડૂતો માટે પાકવીમો ફરજીયાત છે,
2. જે મંડળી કે બેન્કનું ધિરાણ ના લે તેના માટે પાકવીમો મરજિયાત છે,

પાકવિમાં યોજનાનો લાભ ક્યારે મળે?
નીચે દર્શાવેલા તબક્કાઓ દરમ્યાન થતું નુકશાન વીમા યોજના હેઠળ વળતર મળવા પાત્ર છે.

  1. વાવતા/રોપતા મોડું થાય: ઓછા વરસાદ અથવા વિપરીત મોસમી પરિસ્થિતિને કરે પાકનું વાવેતર ના થઇ શક્યું હોય તો પાક વિમમાંનું વળતર મળે,
  2. ઉભો પાક, (વાવણીથી લણણી સુધી): ટાળી ના શકાય એવા જોખમો સામે સમગ્રલક્ષી વીમો અપાય છે, જેમ કે, દુષ્કાળ, બે વરસાદ વચ્ચેનો વધવાથી નુકશાન થાય, પૂર, પાણીનો ભરાવો, જીવતો પડે કે પાકને રોગ આવે, જમીન ધસી પડે, કુદરતી આગ અથવા વીજળી પડે, વાવાઝોડું, વરસાદી વાવાઝોડું, વનતોલીયો વગેરે સામે ખેડૂતને વીમાનું વળતર મળે,
  3. લણણી પછીનું નુકશાન: પાક લણી લીધા પછી, જે પાક ખુલ્લામાં પાથરીને સૂકવવા પડતા હોય એના માટે વનતોલીયો અને વરસાદી વાવાઝોડા કે કમોસમી વરસાદ સામે વધુમાં વધુ બે અઠવાડિયા સુધી વીમાનું રક્ષણ મળે,
  4. સ્થાનિક હોનારતો: વીમા વિસ્તારમાં ઓળખી શકાય એવા જોખમો જેમ કે વરસાદી વાવાઝોડું, જમીન ધસી પદવી અને પાનની ભરાઈ જવા જેવા જોખમો સામે છૂટાં-છવાયા ખેતરોને વિમાનો લાભ મળી શકે,

વિમાનો લાભ ક્યારે ના મળે?
યુદ્ધ, એનું જોખમો, તોફાનો, બદઈરાદાથી કરાયેલું નુકશાન, ચોરી, ભેલાણ, પાલતુ અથવા જન્ગલી જાનવરો (ભૂંડ, ગાય, નીલગાય)ને કારણે થતું નુકશાન અને બીજા ટાળી શકાય એવા જોખમો સામે વિમાનો લાભ મળી શકે નહીં.
ખેડૂતે નુકશાનીના દવાની અરજી કરવી હોય તો શું કરવું પડે...

  1. બધી વિગતો સાથેનું ફોર્મ ભરવું પડે,
  2. ફોર્મની સાથે, પ્રીમિયમ ભર્યાની પહોંચ અને વીમા પોલિસીની પીડીએફ ફાઈલ જોડવી પડે,
  3. જમીનના પુરાવાની વિગતો ફોર્મ સાથે જોડવી પડે,
  4. પાકનું નુકશાન દેખાડતા ફોટા ફોર્મ સાથે જોડવા પડે,
  5. સ્થાનિક છાપામાં પાક નિષ્ફ્ળ જવાના સમાચાર આવ્યા હોય તો  એના કટિંગ ફોર્મ સાથે જોડવા પડે,
  6. પૈસા ટ્રાન્સફર કરવા માટે ખેડૂતના બેન્ક ખાતાની વિગતોનું ફોર્મ દવાના ફોર્મ સાથે જોડવું પડે,

જો લણણી પહેલા નુકશાનીનો દાવો કરવો હોય તો...

  1. સામાન્ય લણણીની તારીખ,
  2. પાકની જાત,
  3. નુકશાનીના દિવસ સુધી કેટલી વાર પિયત કર્યું એની વિગત,
  4. નુકશાનીના દિવસ સુધી કેટલું ખાતર વાપર્યું એની વિગત,
  5. નુકશાનીના દિવસ સુધી છાણીયું/સેન્દ્રીય ખાતર વાપર્યું હોય તેની રકમ,
  6. આ જ પાક સામે બીજો કોઈ વીમો લીધો છે કે નહીં?

આ બધું આપણા અભણ કે ઓછું ભણેલા ખેડૂતો કરી શકે ખરા???

.......કંપનીઓએ શું કરવાનું એ હવે પછી.

ખોટે સરનામે શરમ ને સંસ્કાર શોધું છુ!

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનું નિધન થયું ત્યારે માનવ-સહજ દુ:ખ થવું સ્વાભાવિક છે. દેશના અગ્રણી હરોળના નેતાનું જવું ચોક્કસ દુ:ખદ લાગે. આવા સમયે, દુ:ખદ પ્રસંગે, એક યા બીજા કારણોસર એમના સમ્પર્કમાં આવેલા વરિષ્ઠ નાગરિકો અદના નાગરિકોની જેમ જ પક્ષાપક્ષી ભૂલીને આખરી દર્શન માટે જાય એ સ્વાભાવિક છે. શ્રી વાજપેયીજીના પાર્થિવ દેહને એમની માતૃસંસ્થા ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયે અંતિમ દર્શન માટે મુકાયો ત્યારે વરિષ્ઠ સામાજિક કાર્યકર શ્રી સ્વામી અગ્નિવેશ, ભારતીય જનતા પક્ષ અને એના કાર્યકરો દ્વારા થયેલા તાજા અને જુના સઘળા કટુ અનુભવો ભૂલીને, જાહેરજીવનની ગરિમાને છાજે એ રીતે મૃતક પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ભા.જ.પ. કાર્યાલયે ગયા ત્યારે ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ એમને ધક્કે ચડાવ્યા. અંતિમદર્શન કર્યા વગર જ પોલીસની જીપ્સીમાં બેસીને નીકળી જવું પડ્યું! 80 વર્ષ આસપાસની આયુના ભગવાધારી કર્મશીલને આ રીતે ધક્કે ચડાવવા એમાં કઈ સંસ્કૃતિ ને કઈ માનવતા છે? સંસ્કાર દૂરની વાત ગણીએ તો પણ, કોઈને શરમ સુધ્દ્ધાં ના નડી? ભા.જ.પ.નો કોઈ આગેવાન ત્યાં નહોતો જે એના કુસંસ્કારી કાર્યકરોને રોકી ને અગ્નિવેશજીને અંતિમદર્શને લઇ જાય? જ્યાં વેલો જ સડેલો હોય ત્યાં મીઠાં ફળની આશા શીદને રખાય? છતાં, આ સમાચાર જાણીને ગુજરાતમાં લોકમુખે ચર્ચાતી, ઝવેરચંદ મેઘાણીની કલમે આલેખાયેલી બહારવટિયા જોગીદાસ ખુમાણની ઘટના યાદ આવી.

જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ સામે બહારવટે ચડ્યા હતા, રોજ  રાજના ગામડાં ભાગતા-રગદોળતાં હતા અને રાજની સેના રાત-દિવસ એમનું પગેરું દબાવતી ભીંસ વધારતી જતી એ રાજા વજેસંગના જુવાનજોધ દીકરાના અવસાનના સમાચાર જોગીદાસ ખુમાણને મળ્યા. શ્રી જોગીદાસે ટોળીના સાથીદારોને કહ્યું, "એમનો જુવાનજોધ દીકરો પાછો થયો (અવસાન પામ્યો) છે, ખરખરે તો જવું જોશે!"
ટોળીના સમજુ સાથીઓએ ટપાર્યા કે, "જોગીદાસ રેવા દ્યો, વેરે બંધાણા છીએ. રાત-દિવસ વગડો ખુંદીએ છીએ, ગામડાં ભાગીએ છીએ, રાજના નાકે દમ કરી દીધો છે! રાજની સેના રાત-દી પગેરું ચાંપતી પીછો કરે છે ને તમારે દુશ્મનના આંગણે ખરખરો કરવા જાવું છે? ગાંડપણ રેવા દ્યો, જોગીદાસ."
ખમીરવંતા જોગીદાસ ટોળીના સાથીદારોને સમજાવે છે કે, "વેર તો રાજ હાર્યે છે, એનો જુવાનજોધ દીકરો પાછો થયો હોય ને ખરખરે ના જાવું તો મારુ જીવતર લાજે!" અડગ જોગીદાસની લાગણી આગળ સાથીઓએ નમતું જોખ્યું ને વેશપલટો કરી જોગીદાસ ખરખરો કરી આવે ત્યાં સુધી સાથીદારો સીમાડે વગડામાં સંતાઈ રહે એમ નક્કી થયું. જોગીદાસ વેશપલટો કરી, ગામે ગામના લોકો ખરખરે આવતા હતા એમની ભેગા ભળી ગયા.
એ દિવસોના રિવાજ અનુસાર, પુરુષો માથે પંચિયું કે જાડી પછેડી ઓઢીને રોતા જાય, લાઈનમાં બેસે અને મૃતકના પરિવારનો કોઈ સભ્ય આવીને હાથમાં પાણી આપે, એ પાણીનો કોગળો કરે એટલે આવનાર છાનો રહે, ડાયરે જઈને બેસે.

લાઈનબંધ બેઠેલા પુરુષોમાં એક પુરુષ પોકે પોકે રડે છે, ઘણી મનવાર  (આગ્રહ) છતાં છાનો રેતો નથી, ડાયરો અચંબામાં છે કે આ જણ કોણ છે, પછેડી ઊંચી કરવા દેતો નથી, છાનો રેતો નથી એ આટલી હૃદયવિદારક પોક મૂકીને રડે છે? જેના જુવાનજોધ દીકરાનું અવસાન થયું છે એ ડાયરામાંથી ઉભા થઈને આવે છે ને રોનારને માથે હાથ મૂકીને કહે છે, "છાના રો જોગીદાસ." જોગીદાસનું નામ પડતા ડાયરો સટાસટ તલવારો ખેંચે છે!
શ્રી વજેસંગ હાકોટો કરીને કે છે, "સબૂર", આજ જોગીદાસ 'ખરખરે' આયા છે, મારા મે'માન છે, ખબરદાર કોઈનો હાથ ઊંચો થયો તો." ડાયરો ટાઢો પડે છે, જોગીદાસને સડસડાટ નીકળી જતા જોઈ રહે છે!

આ ખાનદાની, ખુમારી ને સઁસ્કાર હોય સમાજના. અહીં તો શરમથી ડૂબી મરવા જેવું તો ત્યારે થયું કે "આટલી અમાનવીય ઘટના ઘટવા છતાં પક્ષનો કોઈ આગેવાન આગળ ના આવ્યો, કોઈએ અંતિમદર્શનની વ્યવસ્થા ના કરી, ના કોઈએ ક્ષમાયાચના કરી.

ભૂલ મારી થઇ, જેની સ્થાપના જ જૂઠ, અધર્મ અને કુસંસ્કારના પાયા ઉપર થઇ હોય ત્યાં શરમ અને સંસ્કાર શોધું છું, ક્ષમા કરજો.

Wednesday, August 29, 2018

વીમા કમ્પનીએ આટલું કરવાનું છે....


1. ઓછામાં ઓછા 16 ક્રોપ કટિંગ તાલુકા લેવલે કરવાના છે, અને ઓછામાં ઓછા 4 ગ્રામ પંચાયત લેવલ કરવાના છે. જિલ્લા લેવલ મોનીટરીંગ કમિટીએ ખાતરી કરવાની રહેશે કે જિલ્લામાં જરૂરી ક્રોપ કટિંગ થાય.

2. બેન્ક અને વીમા કમ્પનીએ મુલાકાત લઈને આપેલી પાક અને વાવેતર વિસ્તારની ચિકસાઈ કરવાની રહેશે.

3. વીમા કમ્પનીએ કૃષિ/બાગાયત સ્નાતક અથવા ના મળે તો બી આર એસ કક્ષાનો કર્મચારી ડીએજી ઓફિસે અને એવા જ 2 કર્મચારી જિલ્લા કક્ષાએ પુરા પાડવાના રહેશે.
વર્ક ઓર્ડર મળ્યાના 30 દિવસમાં કર્મચારી પુરા ના પડે તો કંપની ઉપર રોજના 2000 રૂપિયા, કર્મચારી દીઠ દંડ લાગશે.

4. વીમા કમ્પનીએ 30 દિવસની અંદર દરેક તાલુકામાં કાર્યરત ઓફિસનું સરનામું આપવાનું રહેશે અને જિલ્લા કક્ષાની ઓફિસનું સરનામું, જવાબદાર કર્મચારીનો ફોન નંબર અને ઇમેઇલ એડ્ડ્રેસ આપવાનું રહેશે.
જો કંપની 30 દિવસમાં ઓફિસનું સરનામું અને વિગતો નહીં આપે તો તાલુકા દીઠ રોજના 5000 રૂપિયા દંડ લાગશે.

5. જો સમયમર્યાદામાં દાવાનો નિકાલ અને ચુકવણી ના થાય તો ખેડૂતને 12% લેખે વ્યાજ ચૂકવવું પડશે.

6. જિલ્લામાં યોજનાની જાહેરાત કરવાની જવાબદારી કમ્પનીની રહેશે અને ગુજરાત સરકારે કરેલી જહેરાતના જિલ્લાદીઠ 4 લાખ રૂપિયે કમ્પનીએ સરકારને આપવા પડશે.