Monday, April 29, 2019

નર્મદાનું પાણી ક્યાં ખોવાયું?


તા. 29-4-2019

ખુલ્લો પત્ર

શ્રી વિજયભાઈ રૂપાણી,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય, સચિવાલય,
ગાંધીનગર.

વિષય: પાણીની અછત બાબત.
માનનીય મુખ્યમંત્રીશ્રી,
સસ્નેહ નમસ્કાર.
આ પત્ર રાજકીય પક્ષ-પક્ષીથી ઉપર ઉઠી જોવા વિનંતી, મારો કોઈ પક્ષ નથી, સિવાય, ગુજરાતના ખેડૂતો અને ગુજરાતનું હિત.

આપ જાણો છો કે પાણી - શિયાળે સિંચાઈ અને ઉનાળે પીવાના-ને લઈને હાલ પ્રિન્ટ, ઇલેક્ટરોનીક  અને સોસીઅલ મીડિયામાં સરકાર પર પસ્તાળ પડી રહી છે. સરકાર ઓછો વરસાદ અને નર્મદાના ઓછા પાણીનો બચાવ આગળ કરે છે જે લોકોના ગળે ઉતરતો નથી, કારણ, આંકડા કંઈક જુદું કહે છે.

આ વર્ષે ઓછા વરસાદની વાત કરીને આપણે ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી  15મી ફેબ્રુઆરીથી બન્ધ કરી દીધું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, જેમના માટે નર્મદા યોજના બની હતી તેમને શિયાળુ પાક બચાવવા માટે આંદોલન કરવાની ફરજ  પડી. જયારે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના મહિનાવાર આંકડા કહે છે કે...
જુલાઈ 2018 :                 240.93
ઑગસ્ટ 2018 :               524.61
સપ્ટેમ્બર 2018 :         1588.80
ઓક્ટોબર 2018 :        1165.27
નવેમ્બર 2018 :             854.42
ડિસેમ્બર 2018 :            977.52
જાન્યુઆરી 2019 :         673.34
ફેબ્રુઆરી 2019 :            570.69
માર્ચ 2019 :                    920.92
એપ્રિલ 2019 :                354.73        (તારીખ 16 સુધી)
કુલ :                              7871.23        (પાણીના બધા આંકડા એમસીએમમાં છે.)

એટલે કે ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90,00,000 એકર ફૂટ પૈકી 60, 38,127 એકર ફૂટ પાણી મળી ચૂક્યું છે. વધારામાં હાલ પણ મધ્યપ્રદેશમાંથી  પાણીની આવક ચાલુ છે, આજે  ડેમની સપાટી 119.50 મીટર છે, આજનો જથ્થો 1147 એમસીએમ એટલે કે 92,988 એકર ફૂટ છે, ડેમની સપાટી સતત વધી રહી છે.

ગુજરાતના ભાગે આટલું પાણી આવ્યું છે. બીજી બાજુ આપણે પુરા 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાને બદલે માત્ર 6,40,000 હેક્ટરને જ (એટલે કે લગભગ ત્રીજા ભાગને જ) સિંચાઈ આપીએ છીએ.

આમ, હિસાબ જોઈએ તો 90,00,000 એકર ફૂટ પાણીમાંથી 10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગોનું બાદ કરીએ એટલે, 80,00,000 એકરફુટ પાણીથી આપણે 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાનું આયોજન કર્યું હતું. એ હિસાબે હાલના 6,40,000ને, બન્ને સીઝન પુરી સિંચાઈ આપવા માટે 28,57,142.8571 એકરફુટ પાણી વપરાય. આમ,
10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગો માટે,
28,57,142 એકરફુટ સિંચાઈ માટે જોઈએ,
-------------------------------------------------
38,57,142 એકરફુટ કુલ પાણીની જરૂર પડે. એની સામે ગુજરાતને,
63,38,272 એકરફુટ પાણી મળ્યું, અત્યાર સુધીમાં,
24,81,130 એકરફુટ પાણી વધવું જોઈએ, તો ઘટ કેમ પડે છે??

બે બાબત નથી સમજાતી તે આપની પાસેથી ગુજરાતની જનતા જાણવા/ માંગે છે કે-
1. નર્મદામાંથી પીવાના હેતુ માટે તો 10,00,000 એકર ફૂટ પાણી જ વપરાય છે તો પછી બાકીનું પાણી ક્યાં જાય છેપીવાના પાણીની અછત કેમ?

2. સિંચાઇના પાણીની ઘટ કેવી રીતે ઉભી થઇ? શા માટે 15 ફેબ્રુઆરીએ પાણી બંધ કરવું પડ્યું?

આશા રાખું છું કે પાણીની બરબાદી અને સરકારની બદનામી રોકવા માટે, કરોડોના ખર્ચે નિભાવાતું નિગમ પાણીનો સાચો હિસાબ ગુજરાતની જનતા સામે રજૂ કરશે.

નર્મદાના પાણીનો પારદર્શી હિસાબ નહીં મુકાય ત્યાં સુધી સરકાર બદનામીથી બચી નહીં શકે. જનમાનસમાં સાચી કે ખોટી, હાલની સરકારની છાપ એવી છે કે ચૂંટાયેલી પાંખનો વહીવટી પાંખ પર કાબુ નથી. નર્મદાના પાણીનો સામાન્ય નાગરિક સમજી શકે એવો સાદો હિસાબ સરકારની શાખ સુધારી કે બગાડી શકશે.

પત્ર  લાંબો થયો છે, ગુજરાતના હિતની વાત છે, ક્ષમા કરશો.

લી
સાગર રબારી
નોંધ: હિસાબમાં કોઈ ભૂલ હોય તો ખુલ્લા દિલે સ્વીકારવા અને સમજવાની પુરી તૈયારી છે.

નકલ:
ચેરમેનશ્રી,
સરદાર સરોવર નર્મદા નિગમ,
બ્લોક ન. 12, સચિવાલય, ગાંધીનગર.