Saturday, October 13, 2018

ખેડૂતો કાયર નથી...


ગઈ કાલે મેં FB પોસ્ટ મૂકી હતી કે...
"બીજાની નિષ્ફ્ળતા શોધવા કરતા આપણે ઉણા ઉતર્યા એ વધારે જવાબદાર છે, પોતાને ખેડૂત આગેવાનો ગણાવનાર (મારા સહિત) ખેડૂતો માટે લડવામાં નિષ્ફ્ળ ગયા એ સ્વીકારવું રહ્યું....."
એ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરવા અને આપ સૌનો અભિપ્રાય જાણવા માટે હતી.

ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યારથી સત્તા પલટા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતોનો ઉપયોગ કરાયો છે. સત્તા પલટા પછી ખેડૂતો દરેક વખતે ભુલાયા છે. મોટા ભાગના બધા જ કૃષિમંત્રીઓ ખેડૂત આગેવાનો જ બન્યા છે. ગઈ કાલ સુધી ખેડૂતોની રેલી, ધરણા, સભાઓ કરનારા કૃષિ મંત્રી બન્યા પછી ખેડૂતો માટે એકાદ યોજના જાહેર કરીને સન્તોષ માની લે છે. એ જાણે છે કે આ યોજનાઓ ક્યારેય જરૂરિયાતવાળા ખેડૂતો સુધી પહોંચતી નથી. છતાં પછી એ સત્તાની રાજ-રમતની શતરંજના પ્યાદા બનીને રહી જાય છે, ખેડૂતની વેદના ભુલાઈ જાય છે.

હાલનો જે સત્તા પક્ષ છે એણે પણ સત્તાપલ્ટા માટે ખેડૂતોનો પ્યાદા તરીકે ઉપયોગ ભૂતકાળમાં કર્યો છે. એનું એક સંગઠન હતું જેને ખેડૂતો માટે જલદ આંદોલન કરેલું. રોડ-રસ્તા રોકેલા, વૃક્ષો કપાવેલાં અને વીજળીના થાંભલા તોડાવેલા. વીજળીના બિલ નહીં  ભરવા અને કોઈ કનેક્શન કાપવા આવે તો ગામમાં નહીં ઘૂસવા દેવાની હાકલો કરેલી.

એ આંદોલનમાં 19 ખેડૂતો મરેલા, અનેક ઘાયલ થયેલા. પોલીસ કેસો સહન કરેલા. એ આખા આંદોલનની રણનીતિ કોણ ઘડતું હતું, ક્યાંથી સંચાલન થતું હતું એના સાક્ષીઓ આજે પણ હયાત છે, એમના મોઢે સાંભળૉ તો સમજાય કે "રાજકારણ સત્તા માટે કેવા મોતના ખેલ ખેલી શકે, કેટલું નીચ અને નિષ્ઠુર થઇ શકે...!"
1991-92ની ચૂંટણી વખતે હાલના સત્તા પક્ષનો નારો હતો "હર હાથ કો કામ, હર ખેત કો પાની." 

ખેડૂતો મર્યા, સત્તા પલટો પણ થયો, પરંતુ "દરેક ખેતરને પાણી મળ્યું?" ના. ખેડૂત વધારે બરબાદ થયો.

દરેક આંદોલને ખેડૂતના ખભે બન્દૂક ફોડી છે, ખેડૂત દૂધનો દાજેલો છે એટલે જ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે! જે સઁગઠન ખેડૂત હિતેચ્છુ હતું એ સત્તા-પલટા પછી ખેડૂતને ભૂલી ગયું, એ પણ રાજ-રમતનું પ્યાદું બની ગયું. ખેડૂત વધુ એકવાર છેતરાઈને નોધારો થયો. જયારે ખેડૂતને સૌથી વધુ જરૂર હતી ત્યારે એ સંગઠન ક્યાંય દેખાયું નથી, ચાહે એ ખેડૂતોની જમીન સમ્પાદનની વાત હોય કે નર્મદાનું પાણી લેવા બદલ થયેલા પાણી ચોરીના કેસ હોય ! એ જ સંગઠનના આગેવાનોને સત્તા પલટા પછી "વિકાસ કરવો હોય તો જમીન તો જોઈએ" એવું કહેતા મેં સગ્ગા કાને સાંભળ્યા છે, ત્યારે હમેશા વિચાર આવ્યો છે કે "ખેડૂત કોનો ભરોસો કરે?" એટલે જ ખેડૂતો નીકળી પડતા નથી. હવે એ જ સંગઠન પાછું 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રોજ-ભૂંડનો મુદ્દો લઈને ફરી સક્રિય થઇ રહ્યું છે....

ખેડૂત ભરોસાના માણસ/સંગઠનની વાટ જુવે છે, એમને ભરોસો પડશે એ દિવસે રેલીઓ-સભાઓ-ધરણામાં સંખ્યા ગણતા થાકી જશો એટલું નક્કી.
હું રાજકારણને ગંદુ માનતો ચોખલિયો નથી, રાજકારણ ગુનો નથી, કાનૂન-બંધારણ માન્ય છે. રાજકારણમાં રસ હોય એવા સારા માણસોએ ચોક્કસ એમાં જવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પરંતુ કોઈને છેતરીને, એમાંય ખેડૂત અને ગરીબ, જે તમારી સાથે શ્રદ્ધાથી જોડાયો હોય એને આગળ કરીને તો રાજકારણ હરગિજ નહીં. એમાં ના માત્ર સામાન્ય માણસનું, સરકાર અને સમાજ, લોકશાહી પ્રક્રિયા સહિત તમામનું અહિત થાય છે એવી મારી માન્યતા છે.

હું પોતે ખેડૂત પરિવારમાં જન્મ્યો છું, ભર ઉનાળે શેઢા-પાળા સરખા કરવાથી માંડી, નિંદામણ, પેરામણ, વાવણી, હળવું, વાઢવું, ગાડું ભરીને ઘરે લાવવા અને ખળામાં કૂટવા સુધીના કામ કર્યા છે. એનો શ્રમ, પીડા ને વેદના જાતે અનુભવી છે.

એટલે દૂધનો દાજેલો ખેડૂત મારે માટે રાજકારણ કે વિદેશથી ફન્ડ લાવવાનું - વટાવવાનું સાધન કે મુદ્દો નથી, મારી સ્વયંની પીડા છે. આગેવાન કે નેતા હોવાનો મેં ક્યારેય દાવો કર્યો નથી, કરવો પણ નથી. ગામડામાં કોઈ 'સાહેબ' કહે તો જરાય ગમતું નથી..

1 comment:

  1. હૈયે થી સીધી જ વાણી ટાઈપ થઈ છે. એકદમ સો ટચની સચ્ચાંઈ ગુજરાત ના ઇતિહાસ અને પોતાના અનુભવ અવલોકન માંથી ચાળી ને મૂકી છે વાત. રાજકારણ નો વાંધો ક્યાં? એના જાણે અજાણે પ્યાદા ન બની જવા ની તકેદારી છે.

    ReplyDelete