Sunday, December 30, 2018

પત્રકારત્વ 'પેટિયું' રળવાનું માધ્યમ માત્ર જ નથી...


નર્મદ અને મેઘાણી ય પત્રકાર હતા, ગુજરાતની એ પરંપરા આમ તો થોડી ઉજળી કહી શકાય એવી. હર એક  કામમાં ઉતાર -ચડાવ આવવા સહજ છે એમ જ પત્રકારત્વમાં પણ થયું. પણ, સૌ 'નામુ' નથી નંખાયી ગયું એનો અહેસાસ વચ્ચે વચ્ચે કેટલાક પત્રકાર મિત્રો કરાવતા રહે છે. અહીં નામોલ્લેખ એટલા વાસ્તે ટાળું છું કે બધા જ "પત્રકારો"ને ઓળખાવાનો હું દાવો ના કરી શકું અને કોઈ સાચો 'પત્રકાર' રહી જાય એ ઇચ્છવા યોગ્ય નથી.

ઇલેક્ટ્રોનિક મીડિયાના ગ્લેમરમાં ઘણીવાર 'પત્રકાર' ખોવાયાનો ભાસ થતો એમાં હમણાં હમણાં વેબ-પોર્ટલના માધ્યમથી જે વાંચવા મળે છે એ જાણી સવાલ થાય કે જો "વગદારો"ના જ હાથમાં પ્રસાર માધ્યમો રહ્યા હોત તો આ બધું  સામે આવી શકત ખરું? કોઈ પ્રકાશક છાપવા તૈયાર થાત ખરો?

નજર સામેની સ્થિતિ, પડદા પાછળની હકીકતો અને પરિણામો/દુષ્પરિણામોની જાણકારી છતાં કશું ના કરી શકવાની પીડા, બાળપણના સંઘર્ષો પછી વ્યવસાયિક સંઘર્ષો, ધીરે ધીરે મરતી સંવેદનાઓ, આ બધું પીડાયક હોય છે. જાણવા છતાં બોલી પણ ના શકવાની મજબુરીની વ્યથા કોને કહે? તો સામે પક્ષે લોકો/સમાજની પત્રકાર પાસેની અપેક્ષાઓનો ભાર!

છતા, અપેક્ષાઓના ભાર અને કંઈ ના કરી શકવાની મજબૂરી વચ્ચે પણ માર્ગ કાઢવાની મથામણ જ કોઈ સુખદ સમાધાન તરફ નહીં તો લોક જાગૃતિ તો ચોક્કસ લાવે છે. આઝાદી આવતા ઘણા વર્ષો લાગ્યા હતા, ક્રાંતિની વાતો ઇન્સ્ટન્ટ હોય છે, ક્રાંતિ નહીં. પરિવર્તન સમય માંગે છે તો સામે પીડા આપે છે.

પંડે પીડા વેઠીને પણ 'પત્રકાર' બની રહેવા બદલ, પત્રકારત્વની મશાલ જલતી રાખવા બદલ સલામ દોસ્તો...

- સાગર રબારી

Thursday, December 27, 2018

ખેડૂતની દેણા માફીમાંએ અદેખાઈ...!

ચારેબાજુએથી ભીંસાયેલા ખેડૂતો પર ચૂંટણીના સમયે રાજકીય પક્ષો મહેરબાન થાય, સઘળા મતદારોની જેમ સૌથી મોટા મતદાતા વર્ગ એવા ખેડૂતની સૌથી મુંઝવતી સમસ્યા કહો કે લાચારી, લીધેલા કરજ ચૂકવવાનો વેંત ના હોવો એને ઉજાગર કરે...

વચનોની લાલચે લૂંટાતો સમાજ ખેડૂતને કોઈ થોડી રાહત આપે  એય નથી જોઈ શકતો, 'જેનું અન્ન ખાય એનું જ ખોદે' કહેવત જેવો ઘાટ કરી મૂકે.

ગુજરાતનો ખેડૂત છેલ્લા અહેવાલ પ્રમાણે, 82608 કરોડ (47318 કરોડનું પાક ધિરાણ અને 35290 કરોડના મુદ્દતી ધિરાણ)ના દેવામાં ફસાયેલો છે. છેલ્લા 4 વર્ષથી વરસાદના ઠેકાણા નથી, 22 વર્ષથી સત્તામાં બેઠેલો પક્ષ હજી ગુજરાતના પાક વિસ્તારના 99 લાખ હેક્ટરના 50% સુધીય સિંચાઈ પહોંચાડી શક્યો નથી, નર્મદાની નહેરો બાંધી શક્યો નથી, કલ્પસરને અભેરાઈ ચડાવી બેઠો છે, શિક્ષણ અને આરોગ્યનું ખાનગીકરણ કરી બેઠો છે એની મોકાણ માંડવાને બદલે ખેડૂતોને આપશો તો  "અર્થતંત્ર ડૂબી જાય" ની કાગારોળ કરી મેલે છે - જાણે એના બાપનાં સાતેય જહાજ મધદરિયે ડૂબી ગયા હોય એમ...

અને કહેવાતા અર્થશાસ્ત્રીઓ, મૂળે તો અનર્થશાસ્ત્રીઓ કે પછી મૂડીપતિઓ અને સત્તાધીશોની કૃપા ઝંખતા લાલચુઓ, સાગમટે અર્થતંત્રના મરશિયા ગાવા બેસી જશે. ગુજરાતના 48 લાખથી વધારે ખેડૂતોના 82,608 કરોડ માફ થાય કે આખા દેશના 80-85 કરોડ ખેડૂતોના 4 લાખ કરોડ માફ થાય તો એમની તો જાણે સાતેય પેઢી પાયમાલ થઇ ગઈ હોય એટલા મરશિયા ગાવા માંડે..!
એમની આવનારી પેઠીઓ ઉદ્યોગપતિઓને અપાતી દેવામાફી, રાહતો કે ગુજરાત સરકાર વીજળી કમ્પનીઓને વગર માંગે હજારો કરોડની રાહત આપે ત્યારે તો બરબાદ થઇ નથી જતી. ત્યારે તો જાણે એમને ઘેર ઘરડે ઘડપણ પારણું બંધાણું હોય એમ અર્થતંત્રની તેજીનાં લગનગીતો ગાવા માંડે છે. એમને વાંધો જ ખેડૂત/ગરીબ/જરૂરિયાતમંદ સામે છે. અમીરોને આપો તો એમને બટકું મળે, ગરીબ ખુદ ખાય કે એમને બટકું ધરે?

કેટલાક તો ઘરની લોન માફ કરાવવા, દુકાનની લોન માફ કરાવવાના ત્રાગા કરવા માંડે.

અરે અક્ક્લમઠાંઓ, ઈશ્વરે તમને બુદ્ધિ ના આપી એમાં ખેડૂત શું કરે? થોડું તો વિચારો...

  • વરસાદ પર ખેડૂતનો કાબુ છે?
  • બિયારણ, ખાતર, દવા, મજૂરીના ભાવ ખેડૂતના કાબુમાં છે?
  • વાતાવરણ - કુદરત ખેડૂતના કાબુમાં છે?
  • ઉત્પાદનના ભાવ નક્કી કરવા ખેડૂતના હાથમાં છે?
  • ખેડૂતને સસ્તી જમીન સરકાર આપે છે?


અને તમે જેના બટકે કુદો છો એમના તો..
  • વરસાદ પ્રમાણે એમનું ઉત્પાદન વધ-ઘટ થતું નથી,
  • એમની વપરાશની વસ્તુઓના વધતા ભાવ/ખર્ચ પ્રમાણે એ પોતે ભાવ નક્કી કરે છે,
  • એના ઠેકાણા સુધી સરકાર વીજળી-રોડ-પાણી 24 કલાકમાં પહોંચાડે છે,
  • એને ટેક્ષમાં રાહત આપે છે,
  • એને સરળતાથી લોન આપે છે,
  • એને નિકાસ પર સીધી સબસીડી આપે છે,
  • એને મફતના ભાવે, સસ્તા જમીન-પાણી સરકાર આપે છે,
  • અને સૌથી મોટું - ઉઠમણું કરવાની સગવડેય આપે છે - બેન્ક માંડવાળ કરે છે.


દર વર્ષે 80-85 કરોડ ખેડૂતો કરતા વધારે તો આ થોડાક હજાર ઉદ્યોગપતિઓ બજેટમાંથી લઇ જાય છે, પણ વાંચે તો ખબર પડેને? અકલેય જોઈએને ભાઈ?
એમને તો માવતર ખાનગી દવાખાને લૂંટાય ને છોકરાં  ખાનગી નિશાળે કુટાય તો વાંધો નહીં, ફિક્સ પગારે વૈતરું કરે તોય વાંધો નહીં. બસ, ખેડૂતનું દેવું માફ ના થવું જોઈએ કેમ અકક્લમઠાંઓ? 
- સાગર રબારી
પ્રમુખ, ગુજરાત ખેડૂત એકતા મંચ.

Tuesday, October 30, 2018

એમ તે કંઈ જમીન મળતી હશે ?

હા, રાજકીય નેતાઓ થોડા છેટા રેજો, અમે બિનરાજકીય - ખેડૂત છીએ.

દેશમાં ક્યાંય નહોતો એવો સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન એક્ટ ગુજરાત સરકારે ઘડ્યો. એમાં ખેડૂતોને પૂછ્યા વગર, વળતર આપ્યા વગર 20% થી લઈને 50% જમીન સીધી કપાત તરીકે લઇ લેવાનો અધિકાર ટાઉન પ્લાનિંગ અધિકારીને આપી દીધો. જમીન પેઢીઓથી વાવનારા ખેડૂતની અને આપી દેવાની ઉદ્યોગપતિઓને...! આવું તો ગુજરાતની સરકાર જ કરી શકે. સરકારનું  ચાલે તો એને તો બધું પડાવીને એના 5-10 ને પધરાવી દેવું છે પણ એમ કંઈ ખેડૂતો છોડે થોડા? સરકારે તો આવા 14 સર કરવા ધાર્યા હતા પણ ખેડૂતોના વિરોધને કારણે એક  પછી એક રદ થતા ગયા. હવે આવીને ડોળો ધોલેરા પર અટક્યો છે.

આ વિસ્તારના 22 ગામોની 92000 હેકટર જમીન સરકારને પડાવી લેવી છે, 50 % કપાતમાં અને ખેડૂતોને દૂર દૂર ફાઇનલ પ્લોટ આપીને ખેતીમાંથી નવરા કરી કાઢી મુકવા છે. ગ્રામપંચાયતો, ગ્રામસભાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારોય પડાવી લેવા છે.

સરકાર પડાવવા આવી તો ખેડૂતોએ લડત ચાલુ કરી, નર્મદાનું પાણી માગ્યું... વાયદા સાકાર કરવા દબાણ કર્યું. હાઇકોર્ટમાં ગયા અને મનાઈ હુકમ મળ્યો.. આમ, સરકારના બદઇરાદા ઉપર ખેડૂતોએ અંકુશ મુક્યો. 2015થી મનાઈ હુકમ ચાલુ છે છતાં હવે સરકાર પડાવી લેવા રઘવાઈ થઇ છે. એને જગપ્રસિદ્ધ ભાલીયા ઘઉં, જીરું અને કપાસ પકવતી જમીન "ખારાપાટ"ને નામે પડાવી લેવી છે. ક્યાંક ખારોપાટ હોય તો વારે વારે ઇઝરાઈલની વાર્તાઓ કરતા તમે ઇઝરાયેલની પદ્ધતિએ ખારપાટની હરિયાળો કેમ નથી કરતા? બસ, પડાવી જ લેવું છે ને મામકાઓને પધરાવી જ દેવું છે?

વાઇબ્રન્ટ નજીક આવતા તાયફાંપ્રેમી સરકાર અધીરી થઇ છે. ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપવા છતાં સરકારે નોટિસો આપવાનો પ્રયત્ન કરી જોયો, જમીન માપણીનો નિષ્ફળ પ્રયોગ કરી જોયો, બધામાં નિષ્ફળ ગયા. હવે 'સર' (સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન) ના અધિકારીઓ ગામે ગામે ફરીને ખેડૂતોને સમજાવવાનો (સાચું કહીએ તો પરોક્ષ રીતે ધમકાવવાનો, એમ કહીને કે સરકાર જમીન તો લઇ જ લેશે...) પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન શરૂ થયું ત્યારે બે માંગણીઓ હતી, (1) નર્મદા આપો, અને (2) સર હટાવો.

ખેડૂતોની અથાગ મહેનતથી નર્મદાના પાણીની લાઈનો તો નખાઈ, પાણી આવશે, 50 વર્ષથી જે વાયદા થયા હતા તે હવે ખેડૂતોની મહેનત અને આંદોલનથી સાકાર થતા દેખાય છે. અનેકવાર ડીકમાન્ડ કરવા છતાં ખેડૂતોએ મહેનત કરીને પાણી મેળવ્યું છે.

હવે જયારે ભાલમાં પાણી આવ્યું ત્યારે સરકાર 50 % જમીન કપાત લઈને ઉધોગપતિઓને પધરાવવાનું કાવતરું 'વિકાસ'ને નામે કરી રહી છે. આ ગામોના ખેડૂતોને સરકારના વિકાસમાં એમનો વિનાશ દેખાય છે એટલે તો વિરોધ કરે છે. હાઇકોર્ટમાં જઈને મનાઈહુકમ મેળવી લાવ્યા છે. તોય સરકાર જાગતી કે માનતી નથી.

સરકારની જોહુકમી સામે ખેડૂતોને જાગ્રત કરવા ખેડૂત આગેવાન શ્રી સાગર રબારી તા. 9-10-11 નવેમ્બરના 3 દિવસ આ ગામો પૈકી કેટલાક ગામોનો પગપાળા પ્રવાસ કરશે, ખેડૂતોને મળશે, એમની વાત સાંભળશે અને વાઈબ્રન્ટના તાયફા પહેલા સરકાર સુધી પહોંચાડવાનો બિનરાજકીય પ્રયત્ન કરશે. આમ તબક્કાવાર બધા ગામોમાં જાગૃતિ અને નવા ઉત્સાહનો સંચાર કરાશે.

આ ઉપરાંત વાઈબ્રન્ટથી ગુજરાતના ગામડાના લોકો શું શું ગુમાવે છે અને વિકાસના નામે સરકાર કેવી રીતે લોકોની આજીવિકાના સંશાધનો- પાણી અને જમીન - એમના વ્હાલા ઉદ્યોગપતિઓને પધરાવે છે એની સમજણ લોકો સાથે બેસીને વિકસાવશે...
એકલા ચાલો એટલે મંજૂરીને જંઝટ જ નહીંને ?

- સાગર રબારી

Saturday, October 13, 2018

ખેડૂતો કાયર નથી...


ગઈ કાલે મેં FB પોસ્ટ મૂકી હતી કે...
"બીજાની નિષ્ફ્ળતા શોધવા કરતા આપણે ઉણા ઉતર્યા એ વધારે જવાબદાર છે, પોતાને ખેડૂત આગેવાનો ગણાવનાર (મારા સહિત) ખેડૂતો માટે લડવામાં નિષ્ફ્ળ ગયા એ સ્વીકારવું રહ્યું....."
એ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરવા અને આપ સૌનો અભિપ્રાય જાણવા માટે હતી.

ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યારથી સત્તા પલટા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતોનો ઉપયોગ કરાયો છે. સત્તા પલટા પછી ખેડૂતો દરેક વખતે ભુલાયા છે. મોટા ભાગના બધા જ કૃષિમંત્રીઓ ખેડૂત આગેવાનો જ બન્યા છે. ગઈ કાલ સુધી ખેડૂતોની રેલી, ધરણા, સભાઓ કરનારા કૃષિ મંત્રી બન્યા પછી ખેડૂતો માટે એકાદ યોજના જાહેર કરીને સન્તોષ માની લે છે. એ જાણે છે કે આ યોજનાઓ ક્યારેય જરૂરિયાતવાળા ખેડૂતો સુધી પહોંચતી નથી. છતાં પછી એ સત્તાની રાજ-રમતની શતરંજના પ્યાદા બનીને રહી જાય છે, ખેડૂતની વેદના ભુલાઈ જાય છે.

હાલનો જે સત્તા પક્ષ છે એણે પણ સત્તાપલ્ટા માટે ખેડૂતોનો પ્યાદા તરીકે ઉપયોગ ભૂતકાળમાં કર્યો છે. એનું એક સંગઠન હતું જેને ખેડૂતો માટે જલદ આંદોલન કરેલું. રોડ-રસ્તા રોકેલા, વૃક્ષો કપાવેલાં અને વીજળીના થાંભલા તોડાવેલા. વીજળીના બિલ નહીં  ભરવા અને કોઈ કનેક્શન કાપવા આવે તો ગામમાં નહીં ઘૂસવા દેવાની હાકલો કરેલી.

એ આંદોલનમાં 19 ખેડૂતો મરેલા, અનેક ઘાયલ થયેલા. પોલીસ કેસો સહન કરેલા. એ આખા આંદોલનની રણનીતિ કોણ ઘડતું હતું, ક્યાંથી સંચાલન થતું હતું એના સાક્ષીઓ આજે પણ હયાત છે, એમના મોઢે સાંભળૉ તો સમજાય કે "રાજકારણ સત્તા માટે કેવા મોતના ખેલ ખેલી શકે, કેટલું નીચ અને નિષ્ઠુર થઇ શકે...!"
1991-92ની ચૂંટણી વખતે હાલના સત્તા પક્ષનો નારો હતો "હર હાથ કો કામ, હર ખેત કો પાની." 

ખેડૂતો મર્યા, સત્તા પલટો પણ થયો, પરંતુ "દરેક ખેતરને પાણી મળ્યું?" ના. ખેડૂત વધારે બરબાદ થયો.

દરેક આંદોલને ખેડૂતના ખભે બન્દૂક ફોડી છે, ખેડૂત દૂધનો દાજેલો છે એટલે જ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે! જે સઁગઠન ખેડૂત હિતેચ્છુ હતું એ સત્તા-પલટા પછી ખેડૂતને ભૂલી ગયું, એ પણ રાજ-રમતનું પ્યાદું બની ગયું. ખેડૂત વધુ એકવાર છેતરાઈને નોધારો થયો. જયારે ખેડૂતને સૌથી વધુ જરૂર હતી ત્યારે એ સંગઠન ક્યાંય દેખાયું નથી, ચાહે એ ખેડૂતોની જમીન સમ્પાદનની વાત હોય કે નર્મદાનું પાણી લેવા બદલ થયેલા પાણી ચોરીના કેસ હોય ! એ જ સંગઠનના આગેવાનોને સત્તા પલટા પછી "વિકાસ કરવો હોય તો જમીન તો જોઈએ" એવું કહેતા મેં સગ્ગા કાને સાંભળ્યા છે, ત્યારે હમેશા વિચાર આવ્યો છે કે "ખેડૂત કોનો ભરોસો કરે?" એટલે જ ખેડૂતો નીકળી પડતા નથી. હવે એ જ સંગઠન પાછું 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રોજ-ભૂંડનો મુદ્દો લઈને ફરી સક્રિય થઇ રહ્યું છે....

ખેડૂત ભરોસાના માણસ/સંગઠનની વાટ જુવે છે, એમને ભરોસો પડશે એ દિવસે રેલીઓ-સભાઓ-ધરણામાં સંખ્યા ગણતા થાકી જશો એટલું નક્કી.
હું રાજકારણને ગંદુ માનતો ચોખલિયો નથી, રાજકારણ ગુનો નથી, કાનૂન-બંધારણ માન્ય છે. રાજકારણમાં રસ હોય એવા સારા માણસોએ ચોક્કસ એમાં જવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પરંતુ કોઈને છેતરીને, એમાંય ખેડૂત અને ગરીબ, જે તમારી સાથે શ્રદ્ધાથી જોડાયો હોય એને આગળ કરીને તો રાજકારણ હરગિજ નહીં. એમાં ના માત્ર સામાન્ય માણસનું, સરકાર અને સમાજ, લોકશાહી પ્રક્રિયા સહિત તમામનું અહિત થાય છે એવી મારી માન્યતા છે.

હું પોતે ખેડૂત પરિવારમાં જન્મ્યો છું, ભર ઉનાળે શેઢા-પાળા સરખા કરવાથી માંડી, નિંદામણ, પેરામણ, વાવણી, હળવું, વાઢવું, ગાડું ભરીને ઘરે લાવવા અને ખળામાં કૂટવા સુધીના કામ કર્યા છે. એનો શ્રમ, પીડા ને વેદના જાતે અનુભવી છે.

એટલે દૂધનો દાજેલો ખેડૂત મારે માટે રાજકારણ કે વિદેશથી ફન્ડ લાવવાનું - વટાવવાનું સાધન કે મુદ્દો નથી, મારી સ્વયંની પીડા છે. આગેવાન કે નેતા હોવાનો મેં ક્યારેય દાવો કર્યો નથી, કરવો પણ નથી. ગામડામાં કોઈ 'સાહેબ' કહે તો જરાય ગમતું નથી..

Sunday, September 30, 2018

અછતગ્રસ્ત ગુજરાતમાં 'ડોમ-ડોમ' ભાષણે સાહ્યબી..!

વિધાનસભાની 2017ની ચૂંટણી દરમ્યાન પાણીનો જે વપરાશ કહો કે ઉપયોગ-દુરુપયોગ થયો એની વાત હાલ ના કરીએ તો પણ, ચાલુ વર્ષ ગુજરાત માટે વસમું છે. વસમાં વરસનો અંદાજ તો ચોમાસુ ખેંચાયું ત્યારે જ હતો છતાં વરસ આટલું વસમું હશે એવો અંદાજ તો નહોતો જ. આપણા ત્યાં અધિકૃત રીતે ચોમાસુ 1લી જૂનથી શરુ થાય અને 31 ઓક્ટોબરે પૂરું થયેલું ગણાય છે, ઓગસ્ટમાં અંદાજ આવી જાય કે વર્ષ કેવું હશે.

ચાલુ વરસના ભારત સરકારના હવામાન વિભાગના આંકડા જોઈએ તો,  ગુજરાતમાં માત્ર એક ગીર સોમનાથ જિલ્લો છે જ્યાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો, એકસામટો પડ્યો ને તારાજી વેરી ગયો એ જુદી વાત છે પરંતુ આંકડાની ભાષામાં તો સામાન્ય કરતા 61% વધારે વરસાદ થયો છે.

10 જિલ્લા એવા છે જેમાં સામાન્ય (પ્રમાણસરનો) વરસાદ થયો છે, સરકારની પ્રમાણસરની વ્યાખ્યામાં સરેરાશ કરતા 19 % વધારે કે ઓછો હોય તો સામાન્ય ગણાય છે. આ સામાન્ય વરસાદના જિલ્લાઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના છે. આ 10 જિલ્લાઓના નામની સામે કૌંસમાં + અને - ની નિશાની છે તે વરસાદ એટલો વધારે કે ઓછો છે તે બતાવે છે.
1. વલસાડ …………………………………          +7
2. ડાંગ ……………………………………….       +11
3. નવસારી …………………………………..       +11
4. સુરત ……………………………………….      +3
5. ભરૂચ ……………………………………....        -6
6. આણંદ……………………………………….      +5
7. પંચમહાલ …………………………………..     -19
8. અરવલ્લી ………………………………… ....  -14
9. અમરેલી ……………………………………..    -5
10. જૂનાગઢ …………………………………….. +5

બીજી બાજુ 20% થી લઈને 59 % જેટલો ઓછો વરસાદ થયો હોય એવા 18 જિલ્લા છે:
1. તાપી …………………………………..        -23
2. નર્મદા ……………………………........       +37
3. વડોદરા ……………………………....         -41
4. છોટા ઉદેપુર …………………………         +25
5. મહીસાગર …………………………...          -25
6. ખેડા. ……………………………......           -26
7. સાબરકાંઠા ………………………..….         -33
8. મહેસાણા ………………………..…...          -55
9. ગાંધીનગર ……………………...…             -54
10. અમદાવાદ ………………………              -55
11. સુરેન્દ્રનગર ……………………….            -52
12. બોટાદ ………………………..…...            -21
13. ભાવનગર …………………...…….           -22
14. મોરબી ……………………...……...          -53
15. રાજકોટ …………………...………...         -36
16. જામનગર ………………....………..          -33
17. પોરબંદર ………………..…………..        -31
18. દેવભૂમિ દ્વારકા …………....……………    -41
અને સૌથી કારમી સ્થિતી ઉભી થઇ હોય તો એ છે...
1. બનાસકાંઠા ……………………………... -62
2. પાટણ ……………………………........... -64
3. કચ્છ ..... ……………………………......  -64

ભારત સરકારના આંકડા છે. ખોટા છે, સરકારને બદનામ કરવાનું કાવતરું છે, એવું કહેવાની જગ્યા જ નથી ગુજરાત સરકાર પાસે. બીજી બાજુ સરદાર સરોવર ડેમના દરવાજા લાગશે એટલે ગુજરાત નંદનવન બની જશે, પાણીની અછત ભૂતકાળ બની જશે વગેરેને લઈને 25 વર્ષ સુધી ગુજરાતની જનતા અને ખેડૂતોને ભરપૂર મૂર્ખ બનાવ્યા, ખેડૂતોના રોષમાં એક કારણ, ભરપેટ મૂર્ખ બન્યા-છેતરાયાનો ગુસ્સો પણ છે જ. હવે એ જ ડેમ, દરવાજા લાગવા છતાં, ઉભા પાક - કપાસ, મગફળી, એરંડા વગેરેને સુકાતા બચાવી શકતો નથી, સગા દીકરા જેમ ઉછેરેલા છોડવા નજર સામે સુકાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ગયે ઉનાળે સરકારે મોટા પાયેઉત્સવ ઉજવીને કરેલી જળક્રાંતિ હૈયે વાગે છે.

આવા કપર પ્રસંગે, દુઃખની ઘડીમાં સરકાર કયું રાજકારણ કરે છે એ સમજાતું નથી. ગામડામાં પીવાનું પાણી મુશ્કેલ છે, પશુઓને ચારો મુશ્કેલ છે અને ખેતમજૂરોને કામ નથી તોય સરકાર "અછતરગ્રસ્ત" અથવા "અર્ધ-અછતરગ્રસ્ત" વિસ્તારોની જાહેરાત કરવામાં આટ-આટલો વિલંબ કેમ કરી રહી છે? વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાઈ જાય એટલા માટે? કોઈ ટોણો ના મારે કે ગુજરાતની જનતા તરસે મરતી હતી, પશુઓ ચારા વગર ટળવળતા હતા, ઉભા પાક સુકાતા હતા, કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પોતાના તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આવેદનપત્ર આપતા હતા, મોરબીના ખેડૂતો બહુપ્રચરિત "સૌની" યોજનાના વાયદા પ્રમાણે ડેમી-2 અને ડેમી-3 બંધમાં પાણી નાખવા માટે સરકારનું ધ્યાન દોરવા હવાતિયાં મારી રહ્યા હતા અને બીજી બાજુ રાજ્ય આખાનું મંત્રી મંડળ વડાપ્રધાનની સભાઓમાં ભીડ ભેગી કરવા એસટીના રૂટ કેન્સલ કરીને વાહન વ્યવસ્થા કરી રહ્યું હતું? મોંઘેરા મહેમાનો માટે 1500/- રૂપિયાની થાળીની વ્યસ્થામાં કરવામાં સરકાર વ્યસ્ત હતી.

ઇતિહાસ નોંધશે કે જનતા બચવા માટે રાન-રાન ભટકી રહી હતી ત્યારે સરકાર ઉજવણીમાં મસ્ત હતી અને જનતાએ જેને વિરોધપક્ષની ભૂમિકા સોંપી છે - જેનું કામ સરકાર પર નિગરાની રાખવાનું, અંકુશ મુકવાનું છે - એ પગાર વધારાની મસ્તીમાં મસ્ત હતો!! આજે કોઈએ ભડકે બળતા રોમ ને ફીડલ વગાડતા નીરોને યાદ કરવાની જરૂર નથી, નજરે જોઈ લો, જાતે અનુભવી લો... આ જ સ્થિતિ રોમની હતી જે આજે આપણી છે, ચહેરા બદલાય છે, વૃત્તિ અને વિલાસિતા એ જ છે !


- સાગર રબારી

Saturday, September 29, 2018

ખેડૂતો સાવધાન, ચેતતા રહેજો, ચૂંટણી આવે છે!

વિધાનસભાની ચૂંટણી આવી ને ગઈ, એ વખતે પાણીની રેલમછેલ હતી, જેવી ચૂંટણી પતી કે નર્મદામાં પાણી સુકાઈ ગયું. સરકારના ઈશારે કેટલાક છાપાં ખાલી નર્મદાના ફોટા છાપવા મંડ્યા, ખેડૂતોને પરોક્ષ રીતે સમજાવવા માટે કે પાણી જ ના હોય તો સરકાર શું કરે? સરકારને બચાવવાની પેરવી હતી. વિધાનસભામાં માર ખાઈ ચુકેલી સરકાર હવે ડેમમાં પાણી છે તોય એના કમાન્ડ વિસ્તાર એવા સુરેન્દ્રનગર-મોરબી-અમદાવાદ-ભાવનગર-બોટાદ-મહેસાણા-પાટણ-બનાસકાંઠા-કચ્છના ખેડૂતોના ઉભા પાક સુકાવા દઈ રહી છે, પાણી છોડતી નથી.

કલ્પસર પછી 'સૌની' યોજનાના નામે ખેડૂતોને મૂરખ બનાવે છે, જો પાણી છે તો સૌની યોજનામાં સમાવેલા ડેમ ભરતા કેમ નથી? કેમ ખેડૂતો ડેમમાં ક્રિકેટ રમે છે તોય જોતા નથી? ઉભા કપાસ-મગફળી જેવા કિંમતી પાક સુકાઈ જાય પછી પાણીને શું કરશું? આ તો "મા મર્યા પછી કાજુ-બદામની ખીચડી ખવડાવવા જેવી વાત છે."

ખેડૂતો ડેમના દરવાજાના રાજકારણમાં મૂર્ખ બનતા રહ્યા ને એમનું પાણી ચોરાઈ ગયું. દરવાજા લગાવ્યા તોય ચોમાસુ પાક બચાવવા પાણી તો મળતું નથી. એટલે, પાણી-વિસ્તાર-જ્ઞાતિ-ધર્મને નામે થતા રાજકારણને સમજો અને એ પ્રમાણે નિર્ણય કરો.

હવે ચૂંટણી સામે આવે છે, ખેડૂતો, ખાસ સૌરાષ્ટ્રના, ધ્યાન રાખજો, ભૂતકાળ ચકાસ્યા વગર કોઈ નેતા/સંગઠનની જાળમાં ફસાશો નહીં. નેતાગીરી તમારી રાખો, માર્ગદર્શન બધાનું લો તો જ ઉદ્ધાર થશે. હમણાં હમણાં સૌરાષ્ટ્રના ખેડૂતોના ફોન આવે છે કે ભૂતકાળમાં ખેડૂતોને છેતરનારા સંગઠનો ફરીથી ખેડૂતોના હામી બનવાનો દંભ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે. ગામે ગામ ફરી ભૂંડ અને નીલગાયના મુદ્દે આંદોલન કરવાની વાતો કરે છે, ખેડૂતો માથે ચડેલું દેવું, પાણી, ભાવ વગેરે એમના માટે મુદ્દા નથી, કારણ એ માંગે તો સરકારમાંથી ઠપકો મળે એમ છે! એટલે  ખેડૂતોને એમના ઉપર વિશ્વાસ બેસતો નથી, મને ફોન કરે છે, કૈંક કરવા કહે છે.

મારે એટલું જ કહેવું છે કે, તમારા  ગામમાં આવતા કોઈને હું કેવી રીતે રોકી શકું? તમારા ગામમાં આવનારનું સ્વાગત કેવી રીતે કરવું એ તમારે નક્કી કરવાનું હોય ને? આવડે ને સુજે એવું સ્વાગત કરો. દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. મૂરખ બનાવવાવાળા તો બનાવશે, એમનો તો ધંધો છે રાજકીય દલાલી કરવાનો. ખેડૂતો વારે વારે મૂરખ બનનારા કેવા? શા માટે વારે વારે છેતરાવ છો? કોઈ પારકો આવીને તમારો ઉદ્ધાર નહીં કરે એ લખી રાખો. તમારી મુશ્કેલીઓ તમને ખબર છે, એના ઉકેલ પણ તમારી પાસે છે તો બીજાની રાહ કેમ જુઓ છે?

હું ઈચ્છું છું કે ગુજરાતના ગામે ગામ ખેડૂત યુવાનો પોતે આગળ આવે અને નેતાગીરી હાથમાં લે, તાલુકે તાલુકે સંગઠન બનાવો, જ્યાં માર્ગદર્શન કે મદદની જરૂર હોય ત્યાં ભરોષો બેસે એની મદદ લો. દરેક સંગઠનો મળીને રાજ્ય સ્તરનું ફેડરેશન બનાવો અને રાજ્યસ્તરના મુદ્દા એની સાથે મળીને ઉઠાવો.

ખેડૂતોના મોટા ભાગના મુદ્દા તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉકલે એવા હોય છે, એના માટે ગાંધીનગર આવવાની કે રાજ્યસ્તરના સંગઠનની જરૂર ખુબ ઓછી હોય છે.

ખેડૂતો અનેકવાર છેતરાયા છે એટલે બહાર નીકળતા નથી એ વાત સાચી છે છતાં, ઘર પકડીને બેસી રહેવાથી કાંઈ નહીં વળે, લોકશાહીમાં તો માથા ગણાય છે, જાગો અને સંગઠિત થઇ બહાર નીકળો તો જ ઉદ્ધાર થશે. 500-1000 ખેડૂતો સાથે મળીને મામલતદાર કે કલેક્ટર ઓફિસે જાય તો કામ કેમ ના થાય? રોટલા લઈને જઈએ અથવા ત્યાં જ ચૂલો પેટાવીએ, ગરમા-ગરમ રાંધીએ ને ખાઈએ, કામ પતે ના ત્યાં સુધી ધામા નાખીએ તો તંત્ર રાડ પાડી જશે ને કામ કરવા માંડશે. એકવાર તંત્ર પર ધાક બેસાડશો તો જતા જ કામ થવા માંડશે. આજે નાના નાના કામો માટે જુદા જુદા જઈને ભ્રસ્ટાચારનો ભોગ બનો છો તે સદંતર બંધ થઇ જશે.

ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે હમણાં હમણાં મીડિયામાં ચમકવા માટે કાર્યક્રમો કરવાનું ચલણ વધ્યું છે એ ભયજનક છે. જરૂરીયાત પ્રમાણે કામ અને કાર્યક્રમ કરો, મીડિયા બધું સમજે છે, એમને આપણા કરતા ઘણી વધારે ખબર છે કે કોણ શું છે, શું કરે છે અને કેમ કરે છે. મીડિયામાં આવવાથી મુદ્દા નથી ઉકલતા, કામ કરવાથી ઉકલશે અને લોકોના દુઃખ દૂર થશે તો મીડિયા ચોક્કસ નોંધ લેશે એવો મારો વર્ષોનો અનુભવ છે.
એટલે ફરી ફરી વિનંતી કરું છું, ખોટા હાથોમાં ફસાશો નહીં, સાવચેત રહો, વારે વારે છેતરાઈએ તો ભોળા નહીં, મૂરખા ગણાઈએ. વાતને ખોટી રીતે લેશો નહીં, લાંબાગાળે સાચી લાગશે.

બીજું, વારે વારે ખેડૂતોને ખોટા ખોટા મુદ્દા લઈને છેતરવા નીકળનારાઓને એટલું જ કહેવું છે, "તમારું પેટ ના ભરાતું હોય, રાજકીય પક્ષની દલાલી વગર છોકરા ભૂખે મરતા હોય તો 12 મહિનાની બાજરી માંગી લેજો, ખેડૂતો ઉદારતાથી આપી દેશે પણ, મહેરબાની કરીને, તમારી દલાલી વાસ્તે, ખેડૂતોને છેતરશો નહીં."

Friday, September 21, 2018

અમે મૂઆ બે લાખના!

ગઈ કાલે નાયબ મુખ્યમંત્રીશ્રીએ થોડા દિવસથી જેની રાહ જોવાતી હતી એ "ખેડૂત માટે મહત્વની જાહેરાત" કરી. જાહેરાતમાં નવું કશું નહોતું. અગાઉ શ્રીમતી આનંદીબહેન આની જાહેરાત કરી ચુક્યા હતા, એમણે તો 4 લાખ આપવાની જાહેરાત કરી હતી, પાના ભરી ભરીને જાહેરાતોય કરી હતી. વિજયભાઈ/નીતિનભાઈ તો કન્જુસ નીકળ્યા, બહેને 4 લાખ કહ્યા હતા એ અડધા કરી નાખ્યા- 2 લાખ, ઇજા થાય તો 1 લાખ.

આ જ વસ્તુ જો ઉદ્યોગોને આપવાની હોત તો કેટલા લાખની જાહેરાત થાત? અહીં, દારૂબંધીનો ભંગ કરે, કાયદાનો ભંગ કરે અને મરે તો 4-5 લાખ આપે, મોટા રોડ અકસ્માતમાં મરે તો પણ લાખો મળે, પરંતુ ખેડૂત ખેતરે કામ કરતા, સાપ-વીંચ્છીના ડંખથી મરે, વીજળી પડવાથી મરે, હિંસક પ્રાણીનો શિકાર બને તો 2 લાખ! આવું કેમ એટલું જ પૂછવું છે.

બીજું, આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પરિવારજનોનો જ સમાવેશ કર્યો છે. વાસ્તવિકતા છે કે ગુજરાતમાં ઘણા જમીન-વિહોણા, આદિવાસીઓ અને શિક્ષિત બે-રોજગારો જમીન ભાગે કે ભાડે રાખીને ખેતી કરે છે. પરિવારના સભ્ય ના હોવાને કારણે ખરેખર ખેતરમાં કામ કરતા ખેત મજૂરો, ભાગે-ભાડે જમીન રાખનારા લોકોને આ યોજનાનો કોઈ લાભ મળવાનો નથી. શ્રી નીતિનભાઈને પણ થોડી-ઘણી જમીન વારસામાં મળી હશે પરંતુ તેઓ જાતે કે એમના પરિવારનું કોણ ખેતરમાં કામ કરવા પાવડો લઈને જતું હશે? તો આ યોજનામાં એમના ખેતરમાં કામ કરતા ગરીબને સમાવવાનો વિચાર એમને આવવો જોઈતો હતો. ખેર, હજી મોડું નથી થયું, સુધારો કરીને એમને સમાવવા જોઈએ.

એવી જ રીતે, ગુજરાતની પૂર્વપટ્ટી, અરવલ્લીના ડુંગરોમાં વસતા આદિવાસી, ભા.જ.પ. કે સંઘની ભાષામાં કહીએ તો 'વનવાસીઓ' આ યોજનાના લાભથી વંચિત રહેશે. એમને સરકારે સનદ નામે પતાકડું પકડાવીને આબાદ છેતર્યા છે, એમની પાસે ના તો 7/12 ના ઉતારા છે, ના 6ના હક્કપત્રક કે 8- અ ની નોંધો ય નથી. આવા ખાતાવગરના ખેડૂતોનું શું? સરકારે સુધારો કરવો જોઈએ અને આ બે સૌથી વધારે જોખમ લેતા ને જરૂરિયાતવાળા સાચા ખેડૂતોને લાભ આપવો જ જોઈએ.

ભા.જ.પ. સરકારની યોજના હોય અને કમ્પની ના કમાય તો યોજના શું કામની? ભલેને ખેડૂત, બેરોજગાર, શિક્ષણ, વીજળી, ગામડાના ઉદ્ધાર, વિદ્યાર્થી, શિક્ષણ કે દેશના સંરક્ષણને નામે જ કેમ ના હોય? આ યોજનામાં પણ નાણાં મન્ત્રીશ્રીએ આપેલા આંકડા પ્રમાણે વર્ષે સરેરાશ 1500 ખેડૂત અકસ્માતના કેસો નોંધાય છે. એ બધા કેસો મૃત્યું ના હોય, એમાં ગમ્ભીર ઇજાના કેસો પણ હોય જેમને 1,00,000 રૂપિયા સુધીની સહાય ચુકવવાની છે. એની સામે સરકાર કમ્પનીને 70-80 કરોડ રૂપિયા પ્રીમિયમના ચુકવશે. સાદો હિસાબ માંડીએ તો, 1500 મૃત્યુના કેસ ગણીએ અને ખેડૂતોને 2,00,000 લાખ લેખે ચૂકવે તો 30,00,00,000(ત્રીસ કરોડ) રૂપિયા ચૂકવવાના થાય. સીધા 40-50 કરોડ રૂપિયા કમ્પનીના ખિસ્સામાં બચે.

આના કરતા, સરકાર પોતાની પાસે અલગ ફન્ડ 70-80 કરોડ રૂપિયાનું રાખે તો ખેડૂતને આનંદીબહેને કરેલા વાયદા પ્રમાણે 4 લાખ ચૂકવે તોય 60 કરોડ રૂપિયા થાય, દુઃખી પરિવારને 2 લાખ રૂપિયા વધારે સહાય મળે અને સરકારના 10-20 કરોડ બચે એ જનતાના ભલામાં વપરાય.

પરંતુ આ તો "ભય, ભૂખ અને ભ્રસ્ટાચાર મુક્ત ગુજરાત" અને "હર હાથ કો કામ, હર ખેત કો પાની" ના વાયદા કરીને સત્તામાં આવેલો પક્ષ એમ થોડો જ વાયદા પાળે, એમના તો વાયદા હોય છે જ તોડવા માટે, છેતરવા માટે. ગુજરાતમાં અત્યારે ક્યારેય નહોતો એટલો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છે, સરકારી આંકડાનો જ અભ્યાસ કરી લો જેથી સાચી સ્થિતિનો ખ્યાલ આવે.

સામાન્ય જનતાને લાગે કે સરકારે ખેડૂતોને ઘણું આપ્યું છતાં ખેડૂતો માગ માગ કરે છે, ધરાતા જ નથી! પરંતુ દોસ્તો, તમારા ટેક્ષના નાણાં ખેડૂતના ખાતામાં નહીં, વચેટિયા અને ઉદ્યોગપતિઓના ખાતામાં જાય છે.  'માર ખેડૂત ખાય ને માલ વચેટિયા ખાય' એ જ થાય છે ને થવાનું છે.